દક્ષિણ ગુજરાતની પાવન ધરા પર આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને ઉદ્યોગ શક્તિના અદભૂત સંગમ સમાન ‘રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે આગામી 25થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાનારા આ મેળાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવશે.
રાજકીય અને સામાજિક માંધાતાઓનું થશે આગમન
રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025 માત્ર ગુજરાત પૂરતો સીમિત ન રહેતા રાષ્ટ્રીય ફલક પર પોતાની ઓળખ બનાવશે. કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના 4 કેબિનેટ મંત્રીઓ, 5 રાજ્યોના ટ્રાઈબલ મિનિસ્ટર્સ તેમજ સમગ્ર દેશના આદિવાસી ધારાસભ્યો અને અગ્રણી વક્તાઓ હાજર રહેશે. આ પ્રસંગે ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ મેળો વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને નવી ઉંચાઈ પર લઈ જશે.













