રાજ્યમાં ગરીબો માટે ફાળવવામાં આવતા સરકારી અનાજની બારોબાર ચોરી અને વેચાણનું એક મોટું કૌભાંડ સુરતમાં સામે આવ્યું છે. સુરત રેલવે સ્ટેશન નજીક ઊભેલી ટ્રેનમાંથી સરકારી અનાજની બોરીઓ ચોરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
ટ્રેનમાંથી ચોરવામાં આવ્યું હતું સરકારી અનાજ
સુરત રેલવે સ્ટેશન પાસે યાર્ડમાં અથવા ટ્રેક પર ઊભેલી માલગાડીના ડબ્બા (બોગી) માંથી અનાજની ચોરી કરવામાં આવી રહી હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે અસામાજિક તત્વો ટ્રેનમાંથી અનાજની બોરીઓ ઉતારીને બારોબાર સગેવગે કરી રહ્યા છે. આ અનાજ ગરીબ પરિવારો માટે રેશનિંગની દુકાનો સુધી પહોંચાડવાનું હતું, જેની ચોરી કરીને તેને ઊંચા ભાવે વેચી દેવાનું કૌભાંડ ચાલતું હોવાની આશંકા છે.













