સુરેન્દ્રનગરમાં સામે આવેલા બહુચર્ચિત જમીન કૌભાંડ મામલે હવે તપાસનો ધમધમાટ વધુ તેજ બન્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આ કેસમાં સંડોવાયેલા તત્કાલીન કલેકટરના PA, કલાર્ક તેમજ વકીલને પૂછપરછ માટે તેડું પાઠવવામાં આવ્યું છે.
અગાઉ કલેક્ટરને ત્યાં દરોડા પડાયા હતા
મળતી માહિતી અનુસાર, આ જમીન કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવનાર તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને ચંદ્રસિંહ મોરીના ઠેકાણે અગાઉ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળ્યા
દરોડા દરમિયાન મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળ્યા હોવાની શક્યતા છે, જેના આધારે હવે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
કલેકટરના PA જયરાજસિંહ ઝાલા અને કલાર્ક મયુરસિંહ ગોહિલને ED દ્વારા સમન્સ
આ મામલે તત્કાલીન કલેકટરના PA જયરાજસિંહ ઝાલા અને કલાર્ક મયુરસિંહ ગોહિલને ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે. બંનેને જમીન વ્યવહારો, ફાઇલ પ્રક્રિયા અને નાણાકીય લેવડદેવડ અંગે વિગતવાર પૂછપરછ કરવામાં આવશે.
વકીલ ચેતન કણઝરીયાને પણ પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા
આ ઉપરાંત, જમીન કૌભાંડના આરોપ સાથે સંકળાયેલા વકીલ ચેતન કણઝરીયાને પણ પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. વકીલની ભૂમિકા અને કાયદાકીય દસ્તાવેજોની તપાસ ED દ્વારા કરવામાં આવી રહી છે.
કરોડો રૂપિયાની ગેરરીતિની આશંકા
જમીન કૌભાંડમાં કરોડો રૂપિયાની ગેરરીતિની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. EDની કાર્યવાહીથી જિલ્લાના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા સેવાઈ રહી છે.
આ પણ વાંચો----- Dholka: ચંડીસર પાસે ટ્રકની ટક્કરે ધોળકા પાલિકાના મહિલા કાઉન્સિલરના પતિનું મોત નીપજ્યું