આ કાર્યક્રમમાં સરકારની 'આત્મનિર્ભર ભારત'ની સંકલ્પનાને સાકાર કરતા ૨૯ જેટલા લાભાર્થીઓને કુલ રૂ. ૭.૬૦ લાખની લોન સહાયના ચેક મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લોન વિતરણની પ્રક્રિયાને વિવિધ તબક્કાઓમાં વહેંચીને સહાય પૂરી પાડવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમ તબક્કાના ૧૪ લાભાર્થીઓને ૧૫,૦૦૦ રૂપિયા લેખે, બીજા તબક્કાના ૮ લાભાર્થીઓને ૨૫,૦૦૦ રૂપિયા લેખે અને ત્રીજા તબક્કાના ૭ લાભાર્થીઓને ૫૦,૦૦૦ રૂપિયાની લોન એનાયત કરવામાં આવી હતી. પીએમ સ્વનિધિ યોજના એ માત્ર આર્થિક મદદ નથી, પરંતુ નાના વેપારીઓના આત્મસન્માનની ગેરંટી છે.
બેંક મારફત કેશબેકની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી
સરકારની આ યોજનાની પારદર્શિતા અને પ્રોત્સાહન નીતિ મુજબ, જે વેપારીઓ સમયસર લોનની ચૂકવણી કરે છે તેમને ક્રમશઃ બીજા અને ત્રીજા તબક્કે વધુ રકમની લોન આપવાની જોગવાઈ છે. નગરપાલિકાના DAY-NULM વિભાગના પ્રોજેક્ટ મેનેજર અને સ્ટાફ દ્વારા ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડી ફોર્મ ભરવાથી લઈને લોન મંજૂરી સુધીની પ્રક્રિયા અત્યંત સરળ બનાવવામાં આવી છે. વધુમાં, લાભાર્થીઓને ડિજિટલ ઇન્ડિયા અભિયાન સાથે જોડીને ડિજિટલ વ્યવહાર કરવા બદલ બેંક મારફત કેશબેકની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી આર્થિક સુધારાની પ્રક્રિયાને વેગવંતો બનાવવામાં આવ્યો છે.













