થરાદના આજાવાડા નજીક નર્મદાની મુખ્ય કેનાલમાંથી આજે એક મહિલાનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મૃતકની ઓળખ થરાદના પીલુડા ગામની ઠાકોર સમાજની મહિલા તરીકે થઈ છે, જે પાંચ બાળકોની માતા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ થરાદ ફાયર વિભાગની ટીમે કેનાલ પર પહોંચી મૃતદેહને બહાર કાઢવાની કામગીરી કરી હતી.
પરિવારનો હત્યાનો સનસનાટીભર્યો આક્ષેપ
આ ઘટનામાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે મૃતક મહિલાના પરિવારજનોએ તેને હત્યા ગણાવી આક્ષેપ કર્યો છે: પરિવારજનોનો આક્ષેપ છે કે મહિલાને તેના પ્રેમી સહિત બે શખ્સોએ કેનાલમાં ફેંકી દીધી હતી. મામલાની ગંભીરતાને જોતા થરાદ પીઆઈ એ.ટી. પટેલ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક રેફરલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને પરિવારના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી.













