બનાસકાંઠા જિલ્લાના થરાદની મુખ્ય કેનાલમાંથી આજે એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવક વાવ તાલુકાના ભાચલી ગામનો રહેવાસી હતો. યુવકના મોતના સમાચાર વાયુવેગે ફેલાતા કેનાલના કાંઠે લોકોના મોટા ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. કેનાલમાં મૃતદેહ હોવાની જાણ થતા જ થરાદ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
થરાદની મુખ્ય કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો
નગરપાલિકાની ટીમે ભારે જહેમત ઉઠાવીને યુવકના મૃતદેહને કેનાલના ઊંડા પાણીમાંથી બહાર કાઢ્યો હતો. મૃતક યુવક બે સંતાનોનો પિતા હોવાનું ખુલતા વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું છે. બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેને પગલે ભાચલી ગામ અને યુવકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.













