વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે ભારે તોફાની બની હતી. આ સભામાં વિપક્ષને બદલે સત્તાધારી પક્ષ ભાજપના જ કાઉન્સિલર મનીષ પગારે પોતાની જ સરકાર અને વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો હતો. મુજ મહુડા વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજની અશ્વરૂઢ પ્રતિમા સ્થાપિત કરવાના મુદ્દે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા વિલંબને કારણે તેઓ લાલચોળ થયા હતા.
સામાન્ય સભામાં BJP કાઉન્સિલર રોષે ભરાયા
કાઉન્સિલર મનીષ પગારે રોષે ભરાતા જણાવ્યું હતું કે, "છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. પાલિકાએ આ પ્રતિમા માટે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી, તેમ છતાં માત્ર મંજૂરી આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. બે-બે મેયર બદલાયા છતાં ફાઈલ આગળ વધતી નથી. રજૂઆતો કરવા છતાં કામ ન થતા હવે અમને અમારું અપમાન થતું હોય તેવું લાગી રહ્યું છે."













