સાવલી તાલુકાના પીલોલ ગામમાં ગ્રામસભાના આયોજનમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે મોટો વિવાદ ઊભો થયો છે. સરકારી પરિપત્ર મુજબ 24મી ડિસેમ્બરે ગ્રામસભા યોજવાની હતી, પરંતુ ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચ અને તલાટીએ કોઈને પણ જાણ કર્યા વગર બારોબાર સભા યોજી દીધી હતી. ગ્રામજનોના વિરોધ બાદ 24 તારીખની સભા રદ કરી આજે ૨૬મી ડિસેમ્બરે ફરીથી ગ્રામસભા બોલાવવામાં આવી હતી.
24મી ડિસેમ્બરે સભ્યોને જાણ કર્યા વગર યોજાઈ સભા
આ સભામાં ગ્રામજનોએ ગામના વિકાસ કામો અને જાહેર નાણાંના વપરાશ અંગે સવાલો પૂછતા માહોલ ગરમાયો હતો. આરોપ છે કે સ્થાનિકોના વાજબી પ્રશ્નો સાંભળવાને બદલે સરપંચ ઉશ્કેરાઈ ગયા હતા અને ગ્રામજનો પર ભડક્યા હતા. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો કેટલાક નાગરિકોએ ફેસબુક લાઈવ અને વીડિયો દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.













