જ્યોર્જિયા માટે વર્ક-પરમિટ વિઝા બનાવવાના બહાને યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવી લેનારા વડોદરાની એક મહિલા એજન્ટ સહિત પાંચ લોકો સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ઠગાઈનો ગુનો નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામના 39 વર્ષીય દિનેશભાઈ આચાર્યએ આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
નોકરીની લાલચ આપી
ફરિયાદ મુજબ, જાન્યુઆરી 2025 દરમિયાન દિનેશભાઈએ સોશિયલ મીડિયામાં “રિધાન ઇમિગ્રેશન” નામની ઓફિસની જાહેરાત જોઇ હતી. વડોદરાના નટુભાઈ સર્કલ પાસે મીરાઝ કોમ્પ્લેક્સની ત્રીજી માળની ઓફિસમાં તેમને તથા તેમના પાંચ મિત્રોને બોલાવી જ્યોર્જિયામાં વેરહાઉસની નોકરી, માસિક રૂ. 80–90 હજાર પગાર, તેમજ રહેવા-જમવાની સુવિધાનો લલચાવતો પ્રસ્તાવ આપાયો હતો. પ્રત્યેક વ્યક્તિએ વિઝા અને ફ્લાઇટ ટિકિટ માટે રૂ. 5.50 લાખ ચૂકવવાના હતા.
દોઢ મહિનામાં વિઝા મળી જશે
પ્રારંભિક એડવાન્સ તરીકે રૂ. 3 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા બાદ નોટરીવાળું એગ્રીમેન્ટ પણ કરાયું હતું કે દોઢ મહિનામાં વિઝા મળી જશે. તેમ છતાં સમયસર કોઈ વિઝા પ્રાપ્ત ન થતા, એપ્રિલ 2025માં “વિઝા આવી ગયા છે” કહી આરોપીઓએ ફરી રૂ. 10.50 લાખ અને ત્યારબાદ રૂ. 19.50 લાખ વસૂલ્યા.
24.35 લાખ પરત આપ્યા ન હતા
જુલાઈ 2025માં યુવકોને જ્યોર્જિયા જવા માટેની ટિકિટ આપીને દિલ્હી બોલાવવામાં આવ્યા, પરંતુ પાસપોર્ટ કે મૂળ વિઝા આપ્યા નહોતા. સતત ખોટા વચનો આપવામાં આવતા દિનેશભાઈએ પૈસા પરત માગ્યા ત્યારે આરોપીઓએ માત્ર રૂ. 8.65 લાખ જ પરત આપ્યા, બાકીના રૂ. 24.35 લાખ પરત આપ્યા ન હતા
મહિલા સહિત પાંચ સામે ફરિયાદ
આ પરિસ્થિતિ બાદ ગોરવા પોલીસે મુખ્ય આરોપી — રિધાન ઇમિગ્રેશનની માલિક કાજલ જોશી — તેમજ સ્ટાફ સભ્યો અમર શાહ, શ્રેયા પટેલ, ચિરાયુ પટેલ અને ગૌતમ શાહ સામે IPCની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ હવે નાણાંની હેરફેર, નકલી વિઝા દસ્તાવેજો અને અન્ય સંભવિત પીડિતોની શોધખોળ કરી રહી છે
આ પણ વાંચો---- Gandhinagar : SLBC ની બેઠકમાં ડે.સીએમ હર્ષ સંઘવીએ સાયબર ફ્રોડના કેસમાં બેંકોની ઢીલી નીતિ સામે નારાજગી પ્રગટ કરી