વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલાં શહેરના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નંબર 3 ના વર્તમાન ભાજપ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા (બાપુ) એ જાહેરાત કરી છે કે તેઓ હવે પછીની કોર્પોરેશનની ચૂંટણી લડશે નહીં. તેમના આ અચાનક નિર્ણયથી ભાજપના કાર્યકરો અને સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તેઓ અન્ય કાર્યકરો અને નવા ચહેરાઓને તક મળે તે હેતુથી આ નિર્ણય લઈ રહ્યા છે.
વડોદરાના રાજકારણમાં ગરમાવો અને ચર્ચાઓ
તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના આ નિર્ણય પર અડગ છે. ઉલ્લેખનીય છે કે, તેઓ અત્યાર સુધીમાં ત્રણ વખત ચૂંટણી લડી ચૂક્યા છે અને બે વખત શાનદાર જીત મેળવીને વોર્ડ નંબર 3 નું પ્રતિનિધિત્વ કર્યું છે. પરાક્રમસિંહ જાડેજાની આ જાહેરાત પાછળનું એક કારણ તેમની સંગઠનમાં વધતી જવાબદારી પણ માનવામાં આવી રહી છે. તાજેતરમાં જ તેમની ભાજપ પ્રદેશ કારોબારીમાં આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.













