વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલાં શહેરના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નંબર 3 ના વર્તમાન ભાજપ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા (બાપુ) એ જાહેરાત કરી છે કે તેઓ હવે પછીની કોર્પોરેશનની ચૂંટણી લડશે નહીં. તેમના આ અચાનક નિર્ણયથી ભાજપના કાર્યકરો અને સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તેઓ અન્ય કાર્યકરો અને નવા ચહેરાઓને તક મળે તે હેતુથી આ નિર્ણય લઈ રહ્યા છે.


વડોદરાના રાજકારણમાં ગરમાવો અને ચર્ચાઓ

તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના આ નિર્ણય પર અડગ છે. ઉલ્લેખનીય છે કે, તેઓ અત્યાર સુધીમાં ત્રણ વખત ચૂંટણી લડી ચૂક્યા છે અને બે વખત શાનદાર જીત મેળવીને વોર્ડ નંબર 3 નું પ્રતિનિધિત્વ કર્યું છે. પરાક્રમસિંહ જાડેજાની આ જાહેરાત પાછળનું એક કારણ તેમની સંગઠનમાં વધતી જવાબદારી પણ માનવામાં આવી રહી છે. તાજેતરમાં જ તેમની ભાજપ પ્રદેશ કારોબારીમાં આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આગામી કોર્પોરેશન ચૂંટણી પહેલાં મોટો નિર્ણય

આ નિમણૂક બાદ તેમણે ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લઈને સંગઠનલક્ષી કાર્યો પર ધ્યાન આપવાનું નક્કી કર્યું હોય તેમ જણાય છે. બાપુના આ નિર્ણયને કારણે હવે વોર્ડ નંબર 3 માં ભાજપ કયા નવા ચહેરાને મેદાનમાં ઉતારશે તે ચર્ચાનો વિષય બન્યો છે. પરાક્રમસિંહ જેવો મજબૂત ચહેરો ખસી જવાથી ટિકિટ વાંચ્છુઓની લાઈન લાગવાની શક્યતા છે. જોકે, તેમણે આડકતરી રીતે સંકેત આપ્યો છે કે તેઓ સંગઠનના વફાદાર સૈનિક તરીકે નવા ઉમેદવારને જીતાડવા માટે કાર્યરત રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: