વડોદરામાં ચોમાસા પૂર્વે વિશ્વામિત્રી નદી સાથે જોડાયેલી બહુચરાજી ખાડીનો મુદ્દો ચિંતાનો વિષય બન્યો છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલી બહુચરાજી ખાડીમાં વરસાદી પાણીના વહેણને અવરોધવામાં આવતા સ્થાનિક સ્તરે પાણી ભરાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.


બ્રિજના વાઇડનિંગનું કામ હાલમાં ચાલી રહ્યું છે

માહિતી મુજબ, ખાડી પર આવેલા બ્રિજના વાઇડનિંગનું કામ હાલમાં ચાલી રહ્યું છે. આ કામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ખાડીમાં માટી નાખી અસ્થાયી રસ્તો બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે વરસાદી પાણીના કુદરતી વહેણને અસર પહોંચી છે અને પાણીની અવરજવર અવરોધાઈ ગઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

તાત્કાલિક વહેણ પૂર્વવત કરવા સૂચના

મામલો સામે આવતા વડોદરા મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ ઈજનેર પ્રશાંત જોશી સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન તેમણે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક વહેણ પૂર્વવત કરવા સૂચના આપી હતી.

અંતિમ અલ્ટીમેટમ આપવામાં આવ્યું

અધિકારીઓએ જણાવ્યું છે કે બ્રિજનું કામ 10 જૂન પહેલાં પૂર્ણ કરવાનું હોવાથી કોન્ટ્રાક્ટરને સમયમર્યાદા સાથે અંતિમ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં વરસાદી પાણીના વહેણને યથાવત કરવામાં નહીં આવે તો કારેલીબાગ સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.

કામગીરી પર સતત નજર

ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી તંત્ર પણ આ મુદ્દે સતર્ક બન્યું છે. વરસાદી પાણીના નિકાલમાં કોઈ અવરોધ ન સર્જાય તે માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. હાલ સમગ્ર મામલે કામગીરી પર સતત નજર રાખવામાં આવી રહી છે. 


આ પણ વાંચો---     Gujarat Latest News live : મહીસાગરમાં નલ સે જલ કેસમાં કાર્યવાહી, CID દ્વારા 3 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરાઈ


  • Follow us on: