વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક અત્યંત દુખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક આશાસ્પદ વિદ્યાર્થિનીનું મેરેથોન દરમિયાન મોત નીપજ્યું છે. ઉમરગામની 'ભારતીય એકેડેમી સ્કૂલ' દ્વારા આયોજિત મેરેથોન દોડમાં આ વિદ્યાર્થિનીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જોકે, દોડતી વખતે અચાનક તેની તબિયત લથડી હતી અને તે ઢળી પડી હતી. શાળા સંચાલકો અને હાજર સ્ટાફ દ્વારા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
બોર્ડની પરીક્ષા પહેલા જ કાળનો પંજો:
તબીબોના પ્રાથમિક તારણ મુજબ, વિદ્યાર્થિનીનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. નાની ઉંમરે હૃદયરોગના હુમલાથી થયેલા આ મોતના સમાચાર વહેતા થતા જ સમગ્ર ઉમરગામ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ખાસ કરીને બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલી અને રમતગમતમાં રુચિ ધરાવતી દીકરીના અકાળે અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાને પગલે શાળામાં ચાલતા કાર્યક્રમો સ્થગિત કરી દેવામાં આવ્યા હતા અને સમગ્ર શૈક્ષણિક જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.













