વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. દિયોદર તાલુકા પંચાયતની 22 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જોકે, આ દરમિયાન દિયોદરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શિવાભાઈ ભુરીયાનું એક સૂચક નિવેદન સામે આવ્યું છે, જેનાથી રાજકીય ચર્ચાઓ તેજ થઈ છે.


કોઈ પણ ઉમેદવારના નામની જાહેરાત કરાઇ નથી

શિવાભાઈ ભુરીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, હાલમાં જે ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે તેઓ પોતાની રીતે સ્વૈચ્છિક રીતે ફોર્મ ભરી રહ્યા છે. પાર્ટી દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે કોઈ પણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી કે હાઈકમાન્ડ તરફથી કોઈ ચોક્કસ સૂચના મળી નથી. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસ પક્ષ પ્રક્રિયા મુજબ યોગ્ય સમયે પોતાના સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરશે.

પ્રજા પરિવર્તન ઈચ્છી રહી

જોકે, આ નિવેદનની સાથે જ તેમણે વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બનાસકાંઠાના મતદારોમાં આ વખતે પ્રજા પરિવર્તન ઈચ્છી રહી છે. દિયોદર તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે તેવો દાવો પણ તેમણે કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોમાં ફોર્મ ભરવાને લઈને જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે આગામી પરિવર્તનના સંકેત હોવાનું ભુરીયાએ ઉમેર્યું હતું.


આ પણ વાંચો----     Surendranagar : નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે 1.22 કરોડની અપ્રમાણસર મિલકત મળતા ખળભળાટ, ACB એ નોંધ્યો ગુનો

  • Follow us on: