મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલની જીત થઈ છે. જીત બાદ વિશ્વાસ પેનલના નેતા ડી.એમ. પટેલે કહ્યું હતું કે, 10 હજારથી વધુ મતોથી અમે જીત મેળવી છે. એક અઠવાડિયામાં હું બેંકમાં 10 કરોડની ડિપોઝિટ મુકીશ.


વિશ્વાસ પેનલના ડિરેક્ટરોએ વિજય યાત્રા કાઢી

અર્બન બેંકની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ વિશ્વાસ પેનલના ડિરેક્ટરોએ વિજય યાત્રા કાઢી હતી. ડિરેક્ટરોએ અર્બન બેંક સુધી પહોંચીને બેંકના દરવાજે શીશ ઝુકાવ્યું હતું. આ અંગે વિશ્વાસ પેનલના નેતા ડિ.એમ. પટેલે કહ્યું હતું કે, બેંકમાં હવે ભવિષ્યમાં કદી ખોટું નહીં થાય.રિકવરી, લોન, ધિરાણ જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવીશું. વિકાસ પેનલની ગેરરીતિની વાત સભાસદોએ સ્વીકારી હતી. ખોટું કરનાર વ્યક્તિઓ પર કાર્યવાહી થશે. રિકવરી માટે પણ અમે પૂરોપૂરો પ્રયત્ન કરીશું. લોકોનો વિશ્વાસ વધે તે રીતે કામગીરી કરીશું.

શરૂઆતથી જ વિશ્વાસ પેનલના ઉમેદવારો આગળ રહ્યાં હતાં

આજે સવારથી હાથ ધરાયેલી મતગણતરીમાં સત્તા પરિવર્તનના સંકેત જોવા મળ્યા હતાં. શરૂઆતથી જ વિશ્વાસ પેનલના ઉમેદવારો આગળ રહ્યાં હતાં. આજે અર્બન બેંકના 8 ડિરેક્ટરના પદ માટે મત ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે જંગ જામ્યો હતો. વહેલી સવારથી હાથ ધરાયેલી મતગણતરી બાદ અત્યારે પરિણામ જાહેર થયું છે. જેમાં વિશ્વાસ પેનલની જીત થઈ છે.

  • Follow us on: