છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ફરી પાછો ચોમાસાનો વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ વરસાદને લઈને આપેલ નિવેદનથી લોકો આશ્ચર્યચકિત થયા છે. વરસાદી સ્થિતિને લઈને દેવાંગ દાણીએ કહ્યું કે "શહેરમાં વરસાદના પાણીની તકલીફ તો રહેવાની" સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના આ નિવેદનથી નાગરિકોમાં નારાજગી જોવા મળી.


વરસાદના પાણીના નિકાલની કામગીરી ચાલુ

શહેરમાં વરસાદી પાણી ઠેર-ઠેર ભરાઈ જતા લોકો પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સંદેશ ન્યૂઝ દ્વારા સમગ્ર સ્થિતિને લઈને તંત્રના અધિકારીને સવાલ પૂછવામાં આવ્યા. ત્યારે AMCના સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ વરસાદી સ્થિતિ પર આપેલ નિવેદન ભારે ચોંકાવનારું છે. દેવાંગદાણીએ કહ્યું કે વરસાદ હોય તો પાણીની તકલીફ તો રહે જ. વરસાદ રોકાતા તરત વરસાદી પાણીનો નિકાલ થાય તે દિશામાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાશે. જો કે હાલમાં 48 વોર્ડમાં વરસાદના પાણીના નિકાલની કામગીરી ચાલુ છે. અને ધારાસભ્યો વિસ્તારોમાં ફરીને કામગીરી કરી રહ્યા છે. આગામી દિવસોમાં શહેરમાં વરસાદી પાણી ના ભરાય તે પ્રકારે કામગીરી કરાશે.

ભારે વરસાદથી લોકોને હાલાકી

અમદાવાદમાં શનિવાર રાત્રિથી વરસાદનું જોર જોવા મળ્યું છે. શહેરમાં 2 દિવસના વરસાદમાં જ વટવા અને ચાણકયા પુરી સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. ચાણકયાપુરીમાં વરસાદી પાણી ભરાતા અંડરપાસ બંધ કરવો પડયો. જેના કારણે આ વિસ્તારના લોકો ફાટક ક્રોસ કરી જીવના જોખમે આવન-જાવન કરી રહ્યા છે. ભારે વરસાદના કારણે વટવામાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. કેડસમા પાણી ભરાતા લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે બજારની દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓના માલસામાનને નુકસાન થયું. શહેરમાં વરસાદી પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા કામગીરી થઈ રહી હોવાના પોકળ દાવા કરવામાં આવી રહ્યા છે.

  • Follow us on: