રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 11 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ 68.79 ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં જ્યારે પૂર્વ-મધ્યમમાં 66.54 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.21 ટકા, કચ્છમાં 65.13 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 56.31 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જો હવે વરસાદ ખેંચાશે તો પાણીની સ્થિતિ વિકટ બને તેવા એંધાણ સર્જાય તેવી શક્યતાઓ છે.
જળાશયોમાં પાણીનો જથ્થો ખૂટે તેવી સ્થિતિ
સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 52 ડેમ હાઈએલર્ટ એટલે કે 70થી 100ટકા વચ્ચે ભરાયા છે.જ્યારે 25 ડેમ એલર્ટ પર તેમજ 26 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 75 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે. રાજ્યમાં 64 ટકા જેટલો વરસાદ થયો હોવા છતાં જળાશયોમાં પાણીનો જથ્થો ખૂટે તેવી સ્થિતિ છે. રાજ્યમા 207 ડેમમાં હાલ 71 ટકા પાણીનો જથ્થો છે.
ઉત્તર ગુજરાતના 15 ડેમમાંથી એક પણ ડેમ છલકાયો નથી
ઉત્તર ગુજરાતના 15 ડેમમાંથી એક પણ ડેમ છલકાયો નથી. આ 15 ડેમમાં 64 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાંથી 4 ડેમ સંપૂર્ણ છલકાયા છે અને 17 ડેમમાં 79.62 પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાંથી આઠ ડેમ સંપૂર્ણ છલકાઈ ગયાં છે અને 13 ડેમમાં 69.83 ટકા પાણીનો જથ્થો છે. કચ્છમાં 20 ડેમમાંથી માત્ર ત્રણ જ ડેમ સંપૂર્ણ છલકાયા છે અને 20 ડેમમાં 54.16 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે સૌરાષ્ટ્રના 141 ડેમમાંથી માત્ર 16 ડેમ જ છલકાયા છે અને માત્ર 66 ટકા પાણીનો જથ્થો છે.