અમદાવાદ જિલ્લાના ખેડૂતો પર કમોસમી વરસાદ (માવઠા)નો કહેર વર્તાયો છે, જેના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને વિસલપુર વિસ્તારના ખેડૂતોના ડાંગરના પાકને સૌથી વધુ ફટકો પડ્યો છે. ખેડૂતોની વર્ષભરની મહેનત પાણીમાં ગઈ છે અને લણણી માટે તૈયાર પાક બગડી ગયો છે. ખેડૂતોની વેદના શબ્દોમાં વ્યક્ત કરતાં એક ખેડૂતે દુઃખ સાથે જણાવ્યું હતું કે, "કમોસમી માવઠાના કારણે અમારે દિવાળીએ હોળી થઈ." તહેવારના માહોલમાં પણ આર્થિક નુકસાનના કારણે ખેડૂતો ગંભીર ચિંતામાં મુકાયા છે, કારણ કે આ પાક પર જ તેમના આખા વર્ષની આર્થિક આવક નિર્ભર હોય છે.
સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરીને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે, જો તાત્કાલિક વળતર નહીં મળે તો તેમના માટે જીવનનિર્વાહ ચલાવવો મુશ્કેલ બની જશે. સહાયની સાથે સાથે ખેડૂતોએ સરકાર પાસે એવી પણ માંગણી કરી છે કે, તેમના પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં સારા ભાવ આપવામાં આવે, જેથી પાકને થયેલા આંશિક નુકસાન છતાં તેમને થોડી રાહત મળી શકે.













