કચ્છના અંજારમાં પાલિકાની બુદ્ધિનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. અંજારમાં વરસાદી પાણી ભરેલા ખાડામાં રોડ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંજાર નવી કોટ પાસેના રોડ પર પડેલા ખાડાઓમાં ડામર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવતા અનેક તર્ક વહેતા થયા છે. ખાડામાંથી પાણી હટાવ્યા વગર જ ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે પાલિકાની આ દેખાડા કરવાની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અંજાર કોંગ્રેસ દ્વારા આ કામીગીરીનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. એક તરફ વરસાદ અને બીજી તરફ ડામર પાથરવાની કામગીરી કેટલા હદે યોગ્ય છે, તે એક મોટો સવાલ છે.


રાજકોટમાં ખખડધજ રોડને લઈ અનોખો વિરોધ

રાજકોટના વોર્ડ નંબર 18માં ભંગાર રસ્તાનો સ્થાનિકોએ અનોખો વિરોધ કર્યો છે. રેકડી કાઢી, રસ્તા ઉપર હવન કરીને વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક લોકોએ ભંગાર રોડ રસ્તાને લઈને મહાનગરપાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. મહાનગરપાલિકાનું તંત્ર રેકડી જેવું બની ગયું છે. લોકોએ સારા રસ્તાઓ માટે સદબુદ્ધિ મળે એ માટે હવન કર્યો છે અને વિરોધ વ્યક્ત કર્યો છે.

અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીના રોડને આઈકોનિક બનાવવાની કામગીરી યથાવત

અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીના રોડને આઈકોનિક બનાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત એરપોર્ટ સર્કલ પર વિશાળ દીવાલ ચણીને મ્યુરલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ મ્યુરલ હેરિટેજ અને સ્માર્ટ અમદાવાદની પ્રસ્તુતિ કરશે. ટૂંક સમયમાં આ મ્યુરલ તૈયાર થઈ જશે. દેશ-વિદેશથી આવનારા પ્રવાસીઓના માનસપટ પર આ મ્યુરલ સમૃદ્ધ વારસાની આગવી છાપ જોવા મળશે, જે મુલાકાતીઓ માટે આકર્ષકનું કેન્દ્ર બન્યું છે.


  • Follow us on: