ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયાં છે. અરવલ્લીની ગીરીમાળામાં વનરાજી ખીલી ઉઠી છે. બીજી તરફ ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક વધતા નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. ઉપરવાસ અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં થયેલા વરસાદને કારણે મોડાસાના માઝુમ ડેમમાં પાણીની પુષ્કળ આવક નથી છે. જેના કારણે ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.


નદી કિનારાના 40 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં

મોડાસાના માઝુમ ડેમમાં વરસાદના પાણીની આવક વધતાં ડેમનું લેવલ જાળવી રાખવા માટે માઝુમ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમનો એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. માઝુમ નદીમાં ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમનું 155.06 મીટરનું લેવલ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે નદી કિનારાના 40 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. લોકોને સતર્ક રહેવા સૂચના પણ આપવામાં આવી છે.

ભીલોડામાં 24 કલાકમાં 6 ઈંચ વરસાદ

બીજી તરફ અરવલ્લીના ભીલોડામાં 24 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકવાથી અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયાં છે. ઉપરવાસમાં વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યાં છે. ઈન્દ્રાશી અને હાથમતી નદીમાં નવા નીર આવ્યાં છે. આ ઉપરાંત ભીલોડામાં સુનસર ધોધ જીવંત થયો છે. ધરતીમાતાના મંદિર પાસે રહેલો સુનસર ધોધ સક્રિય થતાં દૂર દૂરથી સહેલાણીઓ આવ્યાં છે. ડુંગર પરથી ધોધ વહેતા કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.


  • Follow us on: