ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો માટે છેલ્લા કેટલાક સમયથી સતત માઠા સમાચાર આવી રહ્યા છે. સમુદ્રમાં વારંવાર સર્જાતા ખરાબ વાતાવરણ અને હવામાન વિભાગની ચેતવણીઓને કારણે માછીમારોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિઝનમાં આ 5મી વખત બન્યું છે, જ્યારે માછીમારી કરવા ગયેલી બોટોને પરત બોલાવવાની ફરજ પડી છે. દરિયામાં પવનની ગતિ અને ઊંચા મોજાંના કારણે માછીમારી કરવી જોખમી બની ગઈ છે. વારંવાર ટ્રીપ રદ થવાથી માછીમારીની સિઝન ખરાબ થઈ રહી છે અને માછીમારોની આવક પર ગંભીર અસર પડી છે.
5મી વખત ટ્રીપ બગડતા મોટો આર્થિક ફટકો
સતત પાંચમી વખત ફિશિંગ બોટોને કિનારે પાછી લાવવાની ફરજ પડતાં માછીમાર સમાજને મોટો આર્થિક ફટકો પડ્યો છે. માછીમારી એ તેમનો એકમાત્ર વ્યવસાય અને આવકનો સ્ત્રોત છે. ટ્રીપ રદ થવાથી માત્ર માછલીની આવક જ બંધ નથી થતી, પરંતુ બોટના સંચાલન, ડીઝલ અને ખર્ચ કરેલા અન્ય સંસાધનોનો પણ વેડફાટ થાય છે. આ સિઝન દરમિયાન આવક ન થવાથી માછીમાર પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ઘણા માછીમારોએ લોન લઈને બોટ અને સાધનો ખરીદ્યા હોય છે, જેના હપ્તા ભરવા પણ મુશ્કેલ બની ગયા છે.













