લાંબા સમયના વિરામ બાદ ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં ખાસ કરીને મહેમદાવાદ, ડાકોર અને નડિયાદમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. સમગ્ર ખેડા જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લાંબા સમયથી ગરમીમાં અકળાયેલા ખેડાવાસીઓને ગરમીથી રાહત મળી છે.
ખેડાના મહેમદાવાદમાં જળબંબાકાર
વહેલી સવારથી જ મહેમદાવાદમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગઢવી સોસાયટી, હાઉસિંગ વિસ્તાર જળમગ્ન બન્યા હતા. આ ઉપરાંત શિક્ષક ભવનથી મચ્છીવાડ સુધી, ખાત્રજ દરવાજાથી પ્રાઇમ ફ્લેટ સુધી, ઢાળથી મોહન ભગત હોલ સુધી અને મોહન ભગત હોલથી નડિયાદ દરવાજા સુધીના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં ઘૂસ્યા પાણી
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં પણ ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું હતું. વરસાદના કારણે રણછોડરાયજી મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા હતા. મંદિરના મુખ્ય દ્વાર બહાર જ પાણી ભરાઈ જતા શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓને પાણીમાંથી પસાર થઈને દર્શન કરવા માટે મજબૂર બનવું પડ્યું હતું.
નડિયાદમાં નીચાણવાળા વિસ્તારોનો પાણીમાં ગરકાવ થયો
ખેડા જિલ્લા મથક નડિયાદમાં પણ વરસાદે જોરદાર બેટિંગ કરી હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના પૂર્વ અને પશ્ચિમને જોડતા ત્રણ ગરનાળા પાણીથી છલોછલ ભરાઈ ગયા હતાં. જેના કારણે વાહનવ્યવહારને પણ તેની અસર થઈ હતી. આ ઉપરાંત દેસાઈ વગો, વીકેવી રોડ વિસ્તાર, મહાગુજરાત સર્કલ, માઈ મંદિર પાસે અને શ્રેયસ સિનેમા રોડ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. અચાનક આવેલા આ ભારે વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી હતી. પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને કારણે ભારે હાલાકી પણ વેઠવી પડી રહી છે.