નડિયાદ શહેરના નાગરિકોમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અનોખી નાઈટ સાયકલોથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનો પ્રારંભ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ખેડા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને મનપા કમિશનર જી.એચ.સોલંકી દ્વારા ફ્લેગ ઓફ કરી કરવામાં આવ્યો હતો. આ તમામ મહાનુભાવોએ સ્વયં સાયકલ ચલાવીને નગરજનોને ફિટ રહેવાનો સંદેશ આપ્યો હતો.


મેદસ્વીતા સામે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આયોજિત કરવામાં આવી હતી સાયકલોથોન

ફિટ ઇન્ડિયા અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સ્વાસ્થ્યપૂર્ણ જીવનનો સંદેશો આપતી આ સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાયકલોથોનનો રૂટ ખેતા તળાવથી શરૂ થઈને વાણીયાવાડ, કિડની હોસ્પિટલ, પારસ સર્કલ થયી પાછા ખેતા તળાવ સુધીનો ત્રણ કિલોમીટરનો હતો, જે સહભાગીઓએ માત્ર ૧૨ મિનિટમાં પૂર્ણ કર્યો હતો. આ ઇવેન્ટની સૌથી મોટી વિશેષતા એ હતી કે આ કોઈ પ્રતિસ્પર્ધા ન હતી, પરંતુ મેદસ્વીતા સામે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આયોજિત કરવામાં આવી હતી.

ખેડામાં પશ્ચિમ વિસ્તારમાં એક સાયકલ ટ્રેકનું નિર્માણ થશે

આ અવસરે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ રમતગમતના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહુઆયામી દૂરદૃષ્ટિના કારણે આજે દેશના લોકોમાં સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તરફ મોટા પાયે વળ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે નડિયાદ શહેરના લોકો માટે આવતા સમયમાં પશ્ચિમ વિસ્તારમાં એક સાયકલ ટ્રેકનું નિર્માણ થશે. કલેક્ટર અમિત પ્રકાશ યાદવે નાઈટ સાયક્લોથોનમાં સહભાગી થનાર તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા અને આવતા સમયમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત આવા વધુ કાર્યક્રમો આયોજિત કરવાની તૈયારી દર્શાવી હતી.

નગરજનોએ ઉત્સાહપૂર્વક સહભાગ લીધો હતો

આ ઇવેન્ટના મુખ્ય આકર્ષણ તરીકે ૭૧ વર્ષના પ્રેરણાદાઈ સિનીયર સિટીઝન અશોક ભટ્ટનું મહાનુભાવો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાયકલોથોનમાં ભાગ લેનાર દરેક વ્યક્તિને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટમાં પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, મનપા ડેપ્યુટી કમિશનર મહેન્દ્ર દેસાઈ, રૂદ્રેશ હુદડ, નડિયાદ રાઇડર ગ્રુપ સહિત યુવાનો, મહિલાઓ, સિનિયર સિટીઝન, બાળકો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહપૂર્વક સહભાગ લીધો હતો.

  • Follow us on: