મોરબીમાં કમોસમી વરસાદને પગલે જળસપાટીમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મચ્છુ-3 ડેમનો એક દરવાજો 1 ઇંચ જેટલો ખોલવામાં આવ્યો છે. ડેમમાં પાણીની આવક અને જાવક સમાન રહેતા નદીના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરવાસ અને આસપાસના વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદના કારણે મચ્છુ-3 ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમમાં હાલમાં 78 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.


78 ક્યુસેક પાણીની આવક સામે 78 ક્યુસેક જાવક

જેની સામે રૂલ લેવલ જાળવવા માટે ડેમનો એક દરવાજો એક ઇંચ ખોલીને 78 ક્યુસેક પાણીનો નિકાલ નદીમાં કરવામાં આવી રહ્યો છે. પાણીનો પ્રવાહ નદીમાં છોડવામાં આવતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ એલર્ટમાં મોરબી તાલુકાના 13 ગામો અને માળિયા તાલુકાના 8 ગામોનો સમાવેશ થાય છે.

એક દરવાજો એક ઈંચ ખોલાયો, કમોસમી વરસાદથી પાણીની આવક

આ ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ તકેદારીના તમામ પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે. મચ્છુ-3 ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કિનારાના ગામોના લોકો અને પશુપાલકોને નદીના પટમાં ન જવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. તંત્ર હાલમાં ડેમની જળસપાટી અને હવામાન પર સતત નજર રાખી રહ્યું છે.


  • Follow us on: