હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી. સુરતના નવસારીમાં મેઘરાજાએ નવરાત્રિના રંગમાં ભંગ પાડ્યો છે. નવસારીમાં વરસાદ થતાં માતાજીના પંડાલ અને પરિસરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે આયોજકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. કેસરિયા નવરાત્રિ પરિસરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. આ ઉપરાંત ડુમસ રોડ પર નવરાત્રિનું પાર્કિંગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.


વરસાદને કારણે કેટલાક વિસ્તારોમા વ્યાપક નુકસાન થયું

નવસારીમાં પડેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમા વ્યાપક નુકસાન થયું છે. નવરાત્રિના આયોજકો વરસાદને કારણે ચિંતામાં મુકાયા છે. ખેલૈયાઓને પણ વરસાદના કારણે મજા બગડી છે. બીજી તરફ ચીખલીમાં વાવાઝોડાને કારણે તાલુકાના 15 ગામમાં વ્યાપક નુકસાન થયું છે. તલાવચોરા, શામળા ફળિયા અને ખૂંધ ગામે તારાજી સર્જાઈ છે. ભારે પવનથી અનેક લોકોના ઘર અને પતરા ઉડી ગયા હતાં. વાવાઝોડાને કારણે ચીકુની વાડીમાં ભારે નુકસાન થયું હતું છે. ખેડૂતોએ તાત્કાલિક સરવે કરીને સરકાર દ્વારા સહાય ચૂકવાય તેવી માગ કરી છે.

શેડ ધરાશાયી થતા 275 ટન અનાજનો જથ્થો પલળ્યો

ચીખલીમાં ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. સરકારી અનાજના ગોડાઉનની દિવાલ પણ ધરાશાયી થઈ હતી. પતરા સહિત શેડ પર ભારે પવનમાં ધરાશાયી થયો હતો. શેડ ધરાશાયી થતા 275 ટન અનાજનો જથ્થો પલળ્યો હતો. જેમાં 125 ટન ચોખા અને 152 ટન ઘઉં પલળી ગયા હતાં. 2185 ચોખાની બોરી અને 3045 ઘઉંની બોરીમાં નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદથી મકાનોના પતરા ઉડ્યા હતાં.

વાંસદા તાલુકામાં પણ વાવાઝોડાને કારણે હાલાકી સર્જાઈ

નવસારીના વાંસદા તાલુકામાં પણ વાવાઝોડાને કારણે હાલાકી સર્જાઈ હતી. ભારે પવનથી અનેક જગ્યાએ વૃક્ષ અને વીજ પોલ તૂટ્યા હતાં. મુખ્ય માર્ગો પર વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહારને અસર પહોંચી હતી. વહિવટી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવસારી જિલ્લાના તાલુકાઓમાં તીવ્ર ગતિના પવનો સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે જનજીવનને અસર પહોંચી હતી.


  • Follow us on: