નડિયાદ શહેરમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર પૂર્વે રાખડી અને પવિત્રા વેચીને ગુજરાન ચલાવતા ગરીબ શ્રમિકો પર નડિયાદ નગરપાલિકાના ફાયરકર્મીઓ દ્વારા દમન ગુજારવામાં આવ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે આક્રોશ અને ચિંતા ફેલાવી હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે ફાયર બ્રિગેડની ખુલ્લી જીપમાં દબાણ હટાવવા માટે આવેલા ઓન-ડ્યુટી ફાયરકર્મીઓ હાથમાં ડંડા સહિતના હથિયારો સાથે દબાણ હટાવવા મુદ્દે આવીને ફેરિયાઓ પર તૂટી પડ્યા હતા.


ગરીબ શ્રમિકો અને ફાયરકર્મીઓ વચ્ચે મારામારીને કારણે ધમાચકડી મચી

પહેલા તેઓએ ફેરિયાઓ સાથે અપશબ્દો બોલ્યા અને ત્યાર બાદ તેમને માર માર્યો હતો. નડિયાદના રાજમાર્ગ પર જાહેરમાં થયેલી આ મારામારીને કારણે ધમાચકડી મચી ગઈ હતી. આ ઘટનામાં રાકેશ શર્મા નામના એક ફાયરકર્મીનું નામ સામે આવ્યું હતું. જે દબાણ શાખામાં પોતાના પરિવાર સાથે દબદબો ધરાવતો હોવાનું અને અનેક વિવાદોમાં ઘેરાયેલો હોવાનું મનાઈ રહ્યું છે. રક્ષાબંધન નજીક હોય ત્યારે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે લારીઓ લગાવીને બેઠેલા ગરીબ શ્રમિકો પર આ પ્રકારનો અત્યાચાર અત્યંત નિંદનીય છે.

ફાયરકર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ

આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તથા આવા ફાયરકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. આ ઘટનાએ સરકારી કર્મચારીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ અને સામાન્ય નાગરિકો સાથેના તેમના વર્તન પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા. આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરીને દોષિતો સામે પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી છે.


  • Follow us on: