ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં એક હૃદયને કંપાવી દે તેવી ઘટના બની હતી, જ્યાં પરપ્રાંતિય પરિવારના બે સગા ભાઈઓ વેરા તળાવમાં ડૂબી ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતક બાળકોની ઓળખ 9 વર્ષીય મયંકસિંહ અને 6 વર્ષીય હરેનસિંહ નિલુસિંહ બાથમ તરીકે થઈ હતી.


તળાવ પાસેથી બાળકોના ચપ્પલ અને બેટ મળતા શંકા ગઈ

પ્રાપ્ત માહિતી મુજબ, બંને બાળકો સવારે 10 વાગ્યાથી ગુમ થયા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નહી. તે દરમિયાન, વેરા તળાવ પાસેથી બાળકોના ચપ્પલ અને ક્રિકેટનું બેટ મળી આવતા અનિચ્છનીય ઘટનાની શંકા ગઈ હતી. તાત્કાલિક ગ્રામજનોએ આ અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

તળાવમાં ડૂબેલા બે સગા ભાઈઓના મોતથી શોકનો માહોલ

ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ વેરા તળાવ પર પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી. આ સિવાય નડિયાદ ગ્રામ્ય મામલતદાર અને વડતાલ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ફાયર બ્રિગેડની ટીમે તળાવમાંથી બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બંને બાળકોના અકાળે અવસાનથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી અને ભારે આક્રંદ જોવા મળ્યો હતો. પરપ્રાંતિય પરિવારના આ બાળકોના મૃત્યુથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

  • Follow us on: