ગુજરાતમાં લાંબા સમયથી સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અગાઉ નવરાત્રિ અને હવે દિવાળી બાદ મંત્રીમંડળમાં ફેરફાર થવાની અટકળો શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં જગદીશ વિશ્વકર્માને ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ ત્યાર બાદ પણ મંત્રી મંડળમાં વિસ્તરણ થવાની વાતો વહેતી થઈ છે. રાજ્યના મંત્રી મંડળમાં કૂલ 27 સભ્યોનો સમાવેશ કરી શકાય છે. જેની સામે હાલમાં મુખ્યમંત્રી સહિત 17 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે.


મુખ્યમંત્રીએ રાજ્યના મંત્રીઓ સામે સ્પષ્ટતા કરવી પડી

સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણીના એકાદ વર્ષ અગાઉ મંત્રી મંડળ અને પક્ષના સંગઠનમાં ધરખમ ફેરફારો અને વિસ્તરણને અવકાશ હોય છે. અગાઉ રાજ્યમાં આ પ્રકારે ફેરફારો જોવા મળ્યાં છે. મંત્રીમંડળમાં વિસ્તરણ થવા અંગેની સતત થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રીએ રાજ્યના મંત્રીઓ સામે સ્પષ્ટતા કરવી પડી હતી. તાજેતરમાં મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ મંત્રીઓની સામે સ્પષ્ટ કહ્યું હતું કે, હાલ કંઈ થવાનું નથી ચિંતા ના કરશે. તેમણે બેઠકમાં આવતાની સાથે જ કહ્યું હતું કે, હાલ કોઈ ફેરફાર નથી બધા કામે લાગી જાઓ એમ સુત્રોએ જણાવ્યું હતું.

કેબિનેટમાં હજુ પણ 10 સભ્યોને સમાવવા જગ્યા ખાલી

ગુજરાત સરકારની કેબિનેટમાં હજુ પણ 10 સભ્યોને સમાવવા જગ્યા ખાલી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, જો સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણ થાય તો સૌરાષ્ટ્રને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજને વધુ પ્રાધાન્ય અપાશે. આ ઉપરાંત કચ્છ અને મધ્ય ગુજરાતમાંથી પણ પ્રતિનિધિત્વ અપાઈ શકે છે. હાલની સરકારમાં વિવાદમાં રહેલા મંત્રીઓમાંથી બચુભાઈ ખાબડ અને ભીખુસિંહને પડતા મુકવામાં આવશે. આ સિવાય અન્ય મંત્રીઓને વિસ્તાર, જાતિ અને કામના આધારે રાખવા અંગે નિર્ણય થઈ શકે છે. બીજી તરફ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા હોવાથી તેઓને હવે મંત્રી તરીકે સ્થાન નહીં મળી શકે તેવું પણ જાણવા મળ્યું છે.


  • Follow us on: