સૌરાષ્ટ્રના વંથલી-માણાવદર વિધાનસભા બેઠકના રાજકારણમાં ચાલી રહેલા આંતરિક વિવાદો અને જૂથવાદ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.લોકોના પ્રશ્નોનું નિવારણ લાવવા માટે શરૂ કરાયેલું ધારાસભ્યનું કાર્યાલય બંધ હાલતમાં જોવા મળ્યું છે. કાર્યાલયને તાળા લાગી ગયાના વાવડથી સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


માણાવદર રાજકીય કાવાદાવાને કારણે ચર્ચામાં રહ્યું છે

માણાવદર રાજકીય કાવાદાવાને કારણે ચર્ચામાં રહ્યું છે.તેમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ હવે ચર્ચામાં આવ્યા છે.વંથલીમાં તેમનું કાર્યાલય બંધ કરી દેવામાં આવતા મતદારો રોષે ભરાયા છે. એક તરફ રાજકીય વિવાદો ચાલી રહ્યા છે ત્યારે બીજી તરફ તાલુકાના ખેડૂતો કુદરતી આફતો અને સરકારી ઉદાસીનતાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમણે નદીના ધોવાણથી પોતાની જમીન ગુમાવી રહ્યા હોવાની વેદના ઠાલવી હતી. લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે તેમણે ધારાસભ્યને રૂબરૂ મળીને પરિસ્થિતિ જોવા વિનંતી કરી હતી પરંતુ આજ સુધી કોઈ જોવા પણ આવ્યું નથી.

ખેડૂતોએ પાકમાં થયેલા નુકસાન અંગે પણ ચિંતા વ્યક્ત કરી

ખેડૂતોએ પાકમાં થયેલા નુકસાન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.તેમણે સવાલ ઉઠાવ્યો કે, જ્યારે અમારી પાસે ફરિયાદ માટે કોઈ સરકારી કચેરી કે ધારાસભ્યની ઓફિસ ખુલ્લી નથી તો અમારે જવું ક્યાં અને કોને ફરિયાદ કરવી? બીજી તરફ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કાર્યાલય બંધ કરી દેતા આમ આદમી પાર્ટીએ આ ઘટનાને દુઃખદ ગણાવી આક્ષેપ કર્યા હતા. સરકાર પક્ષના જનપ્રતિનિધિનું આ કાર્યાલય વંથલી અને તાલુકાના લોકો માટે આશાનું છેલ્લું કિરણ હતું.પરંતુ હવે આ કાર્યાલય બંધ થતાં લોકો નિરાધાર બન્યા છે.

અફવાઓ ફેલાવવાનો આક્ષેપ પણ કર્યો

તેમણે રાજકીય નેતાઓને આડે હાથ લેતા કહ્યું કે, રાજકીય જૂથવાદ અને વિવાદો ભલે નેતાઓને મુબારક હોય પરંતુ તેના કારણે પ્રજાના પ્રશ્નો દબાઈ ન જવા જોઈએ. તેમણે માંગણી કરી કે પ્રજાના પ્રશ્નોને વાચા આપતું આ કાર્યાલય તાત્કાલિક ફરીથી શરૂ થવું જોઈએ.આ સમગ્ર મામલે માણાવદર મતવિસ્તાર ના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી એ કાર્યાલય બંધ કરવા માટે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે કાર્યાલય કોઈ રાજકીય ગરબડ કે આંતરિક જૂથવાદને કારણે નહીં, પરંતુ માત્ર બિલ્ડિંગ વેચાઈ જવાના કારણે બંધ થયું છે.તેમણે વિરોધીઓ પર આ મુદ્દે અફવાઓ ફેલાવવાનો આક્ષેપ પણ કર્યો છે.


  • Follow us on: