નડિયાદ શહેરમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેને કારણે મતદાન વ્યવસ્થાની પારદર્શિતા પર સવાલો ઊભા થયા છે. માહિતી મુજબ, વોર્ડ નંબર 4 માટે તૈયાર કરાયેલા બેલેટ પેપરમાં એક અપક્ષ ઉમેદવારનું ચૂંટણી ચિન્હ છાપવાનું જ રહી ગયું હતું, છતાં આ બેલેટ પેપરો મતદારોમાં વહેંચી દેવામાં આવ્યા હતા.
મતદારોમાં ગુંચવણ ઉભી થઈ
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મતદારો અને ઉમેદવારના સમર્થકોએ બેલેટ પેપર તપાસ્યા. તેમાં ઉમેદવારનું નામ તો હતું, પરંતુ તેના સામે ચૂંટણી ચિન્હ નહોતું, જેના કારણે મતદારોમાં ગુંચવણ ઉભી થઈ હતી. ખાસ કરીને ગ્રામ્ય અને ઓછા શિક્ષિત મતદારો માટે ચૂંટણી ચિન્હ ખૂબ જ મહત્વનું હોય છે, ત્યારે આ પ્રકારની ભૂલ ગંભીર ગણાય છે. માહિતી અનુસાર, વોર્ડ નંબર 4માં કુલ 66 મતદારો બેલેટ પેપર દ્વારા મતદાન કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ ભૂલ મતદાનના પરિણામને પણ અસર કરી શકે છે. સ્થાનિક સ્તરે આ મામલે અસંતોષ જોવા મળી રહ્યો છે અને કેટલાક લોકોએ ફરીથી બેલેટ પેપર છાપવાની માંગ પણ ઉઠાવી છે.













