પોરબંદરમાં ખરાબ હવામાન અને ભારે પવનની આગાહીને પગલે બોટ માલિકો અને માછીમારોને પરત બોલાવવામાં આવ્યા હતા. હજુ તો સિઝન શરૂ થયાના 3 દિવસ થયા હતા અને માછીમારોને બંદર પર પરત બોલાવી લેવામાં આવતા 9 દિવસથી માછીમારો બોટ લાંગરીને બેઠા છે.
પોરબંદર ફિસરીઝ વિભાગ દ્વારા 1000 જેટલા ટોકન ઇસ્યૂ થયા હતા
આ તમામ બોટને નજીકના બંદરમાં પરત આવવું પડ્યું હતું. પ્રત્યેક બોટના માલિકને સરેરાશ દોઢ થી બે લાખ રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે આ તમામ બોટની અંદાજે રૂ. 20 થી 25 કરોડની નુકસાની ગઈ હોવાનો અંદાજો છે. માછીમારીની અઢી માસ સુધી સિઝન બંધ રહી હતી અને તા. 15 ઓગસ્ટ બાદથી માછીમારોની નવી સિઝન શરૂ થતા ટોકન ઇસ્યુ કરાવી માછીમારો દરિયો ખેડવા રવાના થયા હતા.
તા. 19 ઓગસ્ટની બપોર સુધીમાં 1000 જેટલા બોટના માલિકોએ ટોકન ઇસ્યૂ કરાવ્યા હતા
પોરબંદર જિલ્લામાં તા. 15 ઓગસ્ટની રાતે 12 વાગ્યાથી તા. 19 ઓગસ્ટની બપોર સુધીમાં 1000 જેટલા બોટના માલિકોએ ટોકન ઇસ્યૂ કરાવ્યા હતા. પોરબંદર જિલ્લાના 980 બોટ અને તેમાં સવાર માછીમારો દરિયો ખેડતા હતા, ત્યારે ખરાબ હવામાનની આગાહી કરવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી તેમજ જે માછીમારો દરિયામાં હતા તેઓને નજીકના બંદરે પરત આવી જવાની સૂચના અપાઈ હતી અને તા. 19ના બપોર બાદ બોટ માલિકોને ટોકન ઇસ્યૂ કરવાના બંધ કર્યા હતા. 1000 જેટલી બોટ સહિત માછીમારોને ખરાબ વાતાવરણના કારણે બોલાવી લેવામાં આવતા પ્રત્યેક બોટને દોઢ થી બે લાખ રૂપિયાની નુકસાન પહોંચ્યું છે.
ખરાબ હવામાનના કારણે માછીમારી અટકી ગઈ
ફિશીંગ કરતી બોટોને પરત બોલાવવામાં આવતા આવા બોટ માલિકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. બોટો દરિયામાં ફિશીંગ કરવા જાય ત્યારે ડીઝલ, રાશન, બરફ, માછીમારોનો પગાર ચડતો હોય છે. અડધી ફિશીંગ થઈ હોય ત્યાં જ ખરાબ હવામાનને કારણે સૂચના મળતા માછીમારોને પરત આવવું પડ્યું જેથી ફિશીંગ અધૂરી રહી, માલ પૂરતો મળ્યો નહિ, ડીઝલ બળ્યું અને વળ્યું કઈ નહિ, પરત આવવું પડ્યું. તા. 23 ઓગસ્ટ સુધી ખરાબ હવામાનની આગાહી અને ત્યારબાદ તા. 26 સુધી ખરાબ હવામાનની આગાહી કરવામાં આવી હતી જેને લઈને માછીમારો નજીકના બંદર પર પહોંચી ગયા હતા તા. 28 ઓગસ્ટ થી ફરી માછીમારી શરૂ કરવામાં આવી છે જેમાં ફિસરીઝ વિભાગ દ્વારા 880 જેટલા ટોકન ફરી ઇસ્યુ કરવામાં આવ્યા છે.













