સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે થયેલા જૂથ અથડામણ અને ઘર્ષણના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ફરજમાં બેદરકારી અને ગંભીરતા ન દાખવવા બદલ પ્રાંતિજના પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. દેસાઈને જિલ્લા પોલીસ અધિક્ષક (SP) દ્વારા સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહી ગત રાત્રે મજરા ગામે ઠાકોર અને પટેલ જૂથો વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાને લઈને કરવામાં આવી છે.


પ્રાંતિજ PI રશ્મિન દેસાઇને કરાયા સસ્પેન્ડ

સસ્પેન્ડ કરવાનું મુખ્ય કારણ એ છે કે આ ઘર્ષણ થાય તે પહેલાં જ પોલીસ મથકે લેખિતમાં જાણ કરવામાં આવી હતી. તેમ છતાં PI દેસાઈ દ્વારા કોઈપણ આગોતરા પગલાં લેવામાં આવ્યા નહોતા. જૂથો વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે ત્રણ દિવસ અગાઉ જ પોલીસ મથકમાં લેખિતમાં જાણ કરવામાં આવી હતી. તેમ છતાં PI દેસાઈ દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને નજરઅંદાજ કરવામાં આવી હતી અને કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

કાર્યવાહીમાં બેદરકારી બદલ SPએ કર્યા સસ્પેન્ડ

જેના પરિણામે મોડી રાત્રે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘટનાની જાણ કરાયા બાદ પણ નિષ્ક્રિય રહેવા અને પરિણામે ઘર્ષણની ઘટના બનવા દેવા બદલ ફરજમાં બેદરકારી બદલ SPએ તાત્કાલિક અસરથી PIને સસ્પેન્ડ કર્યા છે. આ ઘટના બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. PIના સસ્પેન્શન બાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનનો ચાર્જ તાત્કાલિક ધોરણે એન.આર. ઉમટને સોંપવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક દ્વારા લેવામાં આવેલો આ કડક નિર્ણય સ્પષ્ટ સંકેત આપે છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારીમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.


  • Follow us on: