રાધનપુરમાં સામાન્ય વરસાદમાં પણ માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. રાધનપુરના હાઇવે ચોકડીથી લઈ બસ સ્ટેન્ડ સુધીના માર્ગ બિસ્માર હાલતમાં થઈ ગયો છે. પરંતુ પાલિકા દ્નારા તેની કોઈ સાર સંભાળ રાખવામાં આવી રહી નથી. ખરાબ રસ્તાઓના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકા તંત્રને જાણે લોકોને પડી રહેલી અગવડ નજરમાં નથી આવી રહી.
મેઈન બજારના મુખ્યમાર્ગ બિસ્માર હાલતમાં
શહેરમાં મેઈન બજારના મુખ્યમાર્ગ બિસ્માર હાલતમાં તો છે જ તેમજ રસ્તાઓ પર ઢીંચણ સમા ખાડાઓ પડ્યા છે. રાધનપુરમાં મેઈન બજારના મુખ્યમાર્ગ પર સરકારી કચેરીઓ આવેલી છે. તાલુકા પંચાયત, સરકારી હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, બસ સ્ટેન્ડ, તાલુકા હેલ્થ ઓફિસ, નાયબ કલેક્ટર નિવાસ સ્થાન સહિતની કચેરીએ જવાનો મુખ્ય માર્ગ છે તેમ છતાં તંત્ર દ્વારા રસ્તાઓનું સમાર કામ કરાવવાનું યાદ આવતું નથી, રાધનપુર વિસ્તારમાં વસવાટ કરતાં સામાન્ય નાગરિકોનો તેના વિરોધમાં પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે.
ભાજપની નગરપાલિકાની બોડી હોવા છતાં રસ્તાઓની હાલત ખરાબઃ નાગરિક
રાધનપુરના એક જાગૃત નાગરિક દ્વારા લોકોને મીડિયાના માધ્યમથી જાગૃત થવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, રાધનપુર ભાજપ સરકારની નગરપાલિકાની બોડી છે જેને નાગરિકોએ ખોબલે ખોબલે વોટ આપ્યાં હોવા છતાં, સરકારી કચેરીના અધિકારીઓ પણ અપરજવર કરી રહ્યાં છે તો પણ આ રસ્તાઓનું સમારકામ કરવામાં નથી આવી રહ્યું તો બધા નાગરિકો જાગો અને પોતાના વિસ્તારના સુધારા માટે અવાજ ઉઠાવો.