પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરમાં અગ્રણી ઈપીસી કોન્ટ્રાક્ટર્સ પૈકીની એક રાજેશ પાવર સર્વિસીઝ લિમિટેડે (આરએસપીએલ) વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (વીજીઆરસી) 2025ના પહેલા દિવસે ગુજરાત સરકાર સાથે રૂપિયા 4,754 કરોડના પ્રોજેક્ટ્સ માટે વિવિધ એમઓયુ કર્યા હતા.
રાજ્ય સત્તામંડળો અને ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
ગુજરાત સરકાર દ્વારા આયોજિત સૌપ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2025 9થી 10 ઓક્ટોબર, 2025 દરમિયાન મહેસાણામાં ગણપત યુનિવર્સિટી ખાતે યોજાઈ રહી છે. આ બે દિવસની સમિટનું આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય રેલવે, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય નવી અને પુનઃવપરાશી ઊર્જા તથા ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ બાબતોના મંત્રી પ્રહલાદ જોશી તેમજ રાજ્ય સત્તામંડળો અને ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
33,000થી વધુ લોકો માટે રોજગારી ઊભી કરવાની સંભાવના
આ એમઓયુ પર રાજેશ પાવર સર્વિસીઝ લિમિટેડના ડિરેક્ટર તથા ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર કક્ષિલ પટેલ તેમજ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આઈએએસ અજય પ્રકાશે હસ્તાક્ષર કર્યા હતા. એમઓયુના ભાગરૂપે અમદાવાદ સ્થિત રાજેશ પાવર સર્વિસીઝ ગુજરાતના વિવિધ ભાગોમાં ઓવરહેટ એચટી (હાઇ ટેન્શન) લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા માટેના ટર્નકી પ્રોજેક્ટ્સ ઊભા કરશે અને તેનું અમલીકરણ કરશે. આ પ્રોજેક્ટ્સ આગામી વર્ષોમાં 33,000થી વધુ લોકો માટે રોજગારી ઊભી કરવાની સંભાવના ધરાવે છે જે ગુજરાત સરકારની ગુજરાતમાં સ્કીલ ડેવલપમેન્ટ અને સમાવેશક આર્થિક વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સમગ્ર પ્રદેશના સમુદાયો માટે વિશ્વસનીયતા વધારવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું
આ અંગે રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કુરાંગ પંચાલે જણાવ્યું હતું કે ગુજરાતના મહેસાણા ખાતે યોજાઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2025નો ભાગ બનતા અમને આનંદ થાય છે. ગુજરાત સરકારના સતત વિશ્વાસ અને સમર્થન બદલ અમે તેમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આજે કરાયેલા આ દરેક એમઓયુ રાજ્યના પાવર ડિસ્ટ્રીબ્યુશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા અને સમગ્ર પ્રદેશના સમુદાયો માટે વિશ્વસનીયતા વધારવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. અમે દરેક પ્રોજેક્ટને સમર્પણ અને ઉત્કૃષ્ટતા સાથે અમલમાં મૂકવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ તથા સમયસર ડિલિવરી અને અમલીકરણમાં કાર્યક્ષમતા સુનિશ્ચિત કરીએ છીએ. આ એમઓયુ કરીને આરએસપીએલ ગુજરાતના વિકાસમાં યોગદાન આપવા, પાવર સેક્ટરમાં સુધારા માટે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવામાં એક આદર્શ રાજ્યના તેના વિઝનને ટેકો આપવા માટે લાંબા ગાળાની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે.