ગુજરાતના મોટા શહેરોમાં આગામી આઠમી સપ્ટેમ્બરથી હેલ્મેટનો નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે. હેલ્મેટની અમલવારી માટે ટ્રાફિક અને પોલીસ તંત્ર પણ સક્રિય થઈ ગયું છે. રાજકોટ શહેરમાં 8 સપ્ટેમ્બરથી ટૂ વ્હિલરચાલક અને પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે. ત્યારે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગને હેલ્મેટની અમલવારી થાય તે પહેલા પૂર્વ મંત્રીએ પત્ર લખી હેલ્મેટમાંથી મુક્તિ આપવા માગ કરી છે.


હેલ્મેટના કાયદામાંથી મુક્તિ આપવા માગ

રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે મુખ્યમંત્રી અને ગૃહ વિભાગને એક પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા તેમણે રાજકોટ સહિતના નાના શહેરોમાં ટુવ્હિલર ચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવા માગ કરી છે. રાજકોટ શહેરમાં હેલ્મેટની અમલવારી સામે વિરોધ શરૂ થયો છે. પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને હેલ્મેટના કાયદામાંથી મુક્તિ આપવા માગ કરી છે.

ગોવિંદ પટેલે પત્રમાં શું કહ્યું?

પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે પત્રમાં જણાવ્યું હતું કે, હેલ્મેટ અંગે હાઈકોર્ટમાં કેટલીક રાહત માંગો તો તેનો ઉકેલ આવી શકે તેમ છે. શહેર વિસ્તાર પૂરતો તેનો અમલ ના થાય કારણ કે શહેરમાં 20 કિ.મી સુધીની ઝડપથી વાહન ચલાવવું શક્ય નથી. જેથી માનવ જિંદગી જોખમમાં મુકાય તેવા અકસ્માતનો સંભવ નથી. કોઈ વ્યક્તિ તેની પત્ની અને બાળકોને લઈ બજારમાં ખરીદી કરવા જાય તો હેલ્મેટની સાચવણી અઘરી બની જાય છે. સીન સપાટા કરનારા કે રીલ બનાવનારા ના કારણે અન્ય વાહનચાલકોને ભોગ બનવું પડે છે. જેથી શહેરી વિસ્તાર પૂરતુ કોર્ટમાં વિનંતી કરીને હેલ્મેટના કાયદામાંથી મુક્તિ અપાવવી જોઈએ તેમ મારુ માનવું છે.


  • Follow us on: