રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATMની છતમાંથી પોપડા પડવાની ઘટના સામે આવી હતી. જોકે સદનસીબે આ સમયે ATM બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાએ ATMના નબળા રીનોવેશન કામની પોલ ખોલી હતી. આ ઘટના બજરંગવાડી વિસ્તારમાં આવેલા SBIના ATMમાં બની હતી. ATM મશીનની છત પરથી પ્લાસ્ટર ઓફ પેરિસના મોટા પોપડા ધરાશાયી થયા હતા. આ ઘટનાએ ત્યાંથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો.


15 દિવસ પહેલા જ થયું હતું ATMનું રીનોવેશન

સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ ATMનું રીનોવેશન માત્ર 15 દિવસ પહેલા જ કરવામાં આવ્યું હતું. આટલા ટૂંકા ગાળામાં જ છત પરથી પોપડા પડવા એ રીનોવેશનના નબળા કામની નિશાની છે. આ ઘટનાએ કામ કરનાર કોન્ટ્રાક્ટર અને બેંકના અધિકારીઓની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા. આ ATM છેલ્લા બે મહિનાથી બંધ હાલતમાં હતું. રક્ષાબંધનનો તહેવાર નજીક હોવાથી લોકો પૈસા ઉપાડવા માટે આ ATM પર આવી રહ્યા હતા.

ગ્રાહકોની સુરક્ષા પર ઉઠ્યા સવાલ

જો ATM ચાલુ હોત તો કોઈ ગંભીર અકસ્માત પણ થઈ શક્યો હોત. બેંક દ્વારા આ ATMને તાત્કાલિક રીપેર કરીને ફરીથી ચાલુ કરવામાં આવે તેવી લોકોએ માંગણી કરી હતી. આ ઘટનાએ ગ્રાહકોની સુરક્ષા પર પણ પ્રશ્ન ઉભો કર્યો હતો. બેંકે આવા જાહેર સ્થળોએ સુરક્ષાના ધોરણોનું પાલન કરવું જોઈએ. નબળા રીનોવેશન કામ અને લાંબા સમય સુધી ATM બંધ રહેવાથી બેંકની સેવાઓ અને ગ્રાહકો પ્રત્યેની જવાબદારી પર સવાલો ગંભીર ઊભા થયા છે.


  • Follow us on: