જેતપુર શહેરના ધોરાજી રોડ પર રેલ્વે ફાટક પર 4 વર્ષથી નિર્માણધીન ફ્લાયઓવરનું કામ પૂર્ણ થઈ જતા આજે દિવાળીના દિવસે ધારાસભ્ય જયેશ રાદડિયાના હસ્તે આ ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેતપુરવાસીઓને દિવાળીની ભેટ આપવામાં આવી છે. 6 વર્ષની લાંબી રાહ જોયા બાદ 55 કરોડના ખર્ચે તૈયાર થયેલો ફ્લાયઓવર લોકો માટે ખુલ્લો મુકાયો છે.


વાહનચાલકોને 8 કિલોમીટર ફરીને જવું પડતું હતું

જેતપુર શહેરના ધોરાજી રોડ પર વર્ષ 2019થી રેલ્વે પર ફ્લાયઓવરના કામના કારણસર રેલ્વે ફાટક ભારે વાહનો માટે બંધ કરવામાં આવી હતી. એટલે છેલ્લા 6 વર્ષથી એસટી બસ, ટ્રક, ટેન્કરો તેમજ અન્ય ભારે વાહનોને ધોરાજી બાજુ જવા માટે નવાગઢથી 8 કિલોમીટર ફરીને જવું પડતું હતું. જેના કારણે આ વાહનોને કરોડો રૂપિયાનું ઈંધણનો વધારાનો ખર્ચ તેમજ વધારાનો સમયનો માર સહન કરવો પડ્યો હતો. જેમાં આ ફ્લાયઓવરનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરી દેતા 55 કરોડ રૂપિયા જેવી માતબર રકમથી બનેલા આ ફ્લાયઓવર દિવાળીના દિવસે ધારાસભ્ય જયેશ રાદડિયાએ શહેરીજનો માટે ખુલ્લો મુક્યો હતો.

ફ્લાયઓવર પર કરાયું લાઈટીંગ

આ ફ્લાયઓવર પર લાઈટના પોલને રાષ્ટ્રધ્વજ તિરંગાની લાઈટીંગ રોશનીના શણગારને કારણે અત્યારથી જ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને જેતપુરવાસીઓ માટે પીકનીકનું એક સ્થળ જેવો બની ગયો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વોકિંગ કરતા લોકોને પણ ધ્યાને રાખી ફ્લાયઓવરની બંને બાજુ વોકિંગ પાથ બનાવવામાં આવ્યો છે, જે પણ ફ્લાયઓવર જેટલો એક કિલોમીટર જેટલી જ લંબાઈનો હોવાથી વોકિંગ કરતા લોકો માટે પણ ઉપયોગી બનશે.

  • Follow us on: