અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા સહિતના વિસ્તારમાં ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે. ભારે વરસાદના પગલે રાજુલા તાલુકાના પાંચ જેટલા ગામો અસરગ્રસ્ત બન્યા છે.વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે રાજુલાના ઉચૈયા ગામેથી 50, ભચાદરમાંથી 50 અને ધારાનાનેસ ગામેથી 70 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.


સ્થળાંતર કરીને પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો

ઉચૈયા ગામના કુલ 100 લોકોનું સ્થળાંતર કરીને પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે.અહીં તંત્ર દ્વારા સરપંચ સાથે સંકલન કરીને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.ધારાનાનેસ ગામે પણ 50 લોકોનું એક સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે, ભચાદર ગામના કુલ 100 લોકોને તેમના સગા સંબંધીઓના ત્યાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.અસરગ્રસ્ત લોકો માટે સ્થાનિક સ્તરે સંકલન સાધીને ફૂડપેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

મંત્રીએ પાક નુકસાનીની વિગતો પણ મેળવી

રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ આજરોજ ભારે વરસાદથી અસરગ્રસ્ત સાવરકુંડલા તાલુકાના જાબાળ, ઘનશ્યામનગર સહિતના ગામોની મુલાકાત લઈ કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો. રાજ્યમંત્રીએ ખેડૂતોના ખેતરોમાં જઈને મગફળી-કપાસ સહિતના પાકોમાં કમોસમી વરસાદથી નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું.તેમણે ખેડૂતો બંધુઓ સાથે સંવાદ સાધીને પાક નુકસાનીની વિગતો પણ મેળવી હતી.

  • Follow us on: