દેશ માટે પોતાનું બલિદાન આપનાર વીર જવાનો તથા પહેલગામના હુમલામાં પોતાના વ્હાલસોયા ભાઈ ગુમાવનાર બહેનોને શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ-સુરતના સંતોએ વિશાળ માનવ પ્રતિકૃતિરૂપ રાખડી અર્પણ કરી છે. ગુરૂકુળના ધોરણ 5 થી 11 (ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ)ના 1300 વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે 190x75 ફુટની વિશાળ માનવ પ્રતિકૃતિરૂપ રાખડી બનાવી હતી.


વિદ્યાર્થીઓએ રાખડીની પ્રતિકૃતિ રચી પરસ્પર આત્મીયતાના દર્શન કરાવ્યા

આચાર્યરી અરવિંદભાઈ ઠેસીયા, અંગ્રેજી માધ્યમના આચાર્ય ધર્મેશભાઈ સલીયા, શિક્ષકો જગદીશભાઈ પીપળીયા, પ્રવિણભાઈ પ્રજાપતિના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ રક્ષા- રાખડીની પ્રતિકૃતિ રચી પરસ્પર આત્મીયતાના દર્શન કરાવ્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધતા પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનનું પર્વ પરસ્પર પ્રેમ, આત્મીયતા અને સમર્પણ ભાવ કેળવવાનું શીખવે છે. માતા કુંતાજીએ પાંડવ-કૌરવોના યુદ્ધ સમયે રક્ષા માટે અભિમન્યુને રાખડી બાંધી હતી. દેવો દાનવોના યુદ્ધ પ્રસંગે પતિની રક્ષા માટે સતીએ ઈન્દ્રને રક્ષા બાંધી હતી. લક્ષ્મીજીએ બલિરાજાને પોતાના ભાઈ માની રક્ષાસૂત્ર બાંધી ભગવાનને બલિરાજાના બંધનથી મુક્ત કર્યા.

ભાઈ-બહેનના પવિત્ર પર્વ તરીકે ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન તહેવાર ઉજવાય છે

ત્યારથી ભાઈ-બહેનના પવિત્ર પર્વ તરીકે ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન તહેવાર ઉજવાય છે. સ્વામીનારાયણ ગુરુકુલ વિદ્યાલયે આકૃતિરૂપ રક્ષા ગુરૂકુળના મહંતસ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા વિદ્યાલયની સેવા સંભાળતા ભક્તિતનયદાસજી સ્વામીના આશીર્વાદ સાથે દેશ માટે પોતાનું બલિદાન આપનાર વીર જવાનો તથા પહેલગામના હુમલામાં પોતાના વ્હાલસોયા ભાઈ ગુમાવનાર બહેનોને અર્પણ કરાવી હતી.

  • Follow us on: