સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એકવાર 'લેટર બોમ્બ' ફોડીને જનતાના સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે રાજ્યના આરોગ્ય મંત્રીને પત્ર લખીને ખાદ્ય પદાર્થોમાં થતી બેફામ ભેળસેળ સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે. કાનાણીએ પોતાની રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળને કારણે લોકોના સ્વાસ્થ્યની ચિંતા વધી છે. ધારાસભ્યએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે 'ભેળસેળિયા બેફામ છે, તેમને કઈ થતું નથી,' જેના પરથી સ્પષ્ટ થાય છે કે હાલના કાયદાઓ અને કાર્યવાહી ભેળસેળનું દૂષણ અટકાવવામાં અસરકારક સાબિત થઈ રહ્યા નથી.
'પ્રામાણિક છો, ભણેલા છો, કડક કાયદો લાવો'
ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને સંબોધતા કહ્યું કે, 'તમે પ્રામાણિક છો, ભણેલા છો, એટલે કડક કાયદો લાવો.' આ શબ્દો દ્વારા તેમણે મંત્રીને તેમની પ્રામાણિકતા અને યોગ્યતાનો ઉપયોગ કરીને ભેળસેળ કરનારાઓ સામે દાખલો બેસાડતા કાયદા લાવવા વિનંતી કરી છે. તેમની મુખ્ય માંગ એ છે કે, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ અને વેચનારાઓ સામે માત્ર દંડ નહીં, પરંતુ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જનતાના જીવન સાથે ચેડાં કરનારા આવા તત્વોને તાત્કાલિક અસરથી રોકવા માટે મજબૂત અને કડક કાયદા બનાવવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો છે.













