સુરતનું ઉધના રેલવે સ્ટેશન દિવાળીના તહેવાર નિમિત્તે વતન જઈ રહેલા મુસાફરોની અભૂતપૂર્વ ભીડથી ઊભરાઈ ગયું છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને પૂર્વીય રાજ્યો તરફ જનારા શ્રમિકો અને નોકરિયાત વર્ગે વહેલી તકે વતન પહોંચવા માટે રેલવે સ્ટેશન પર જમાવડો કર્યો છે. પરિસ્થિતિ એવી બની છે કે રેલવે સ્ટેશનની અંદરની જગ્યા ઓછી પડતાં મુસાફરોએ બહાર રોડ ઉપર લાઇન લગાવવાનું શરૂ કરી દીધું હતું. આ ભીડ દિવાળી દરમિયાન માદરે વતન જવાની લોકોની તીવ્ર ઇચ્છાને દર્શાવે છે.
3 કિલોમીટર લાંબી કતાર અને અંધાધૂંધી
મુસાફરોની ભીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રેલવે સ્ટેશનથી રોડ ઉપર અંદાજે 3 કિલોમીટર લાંબી કતાર જોવા મળી હતી. આ લાઇન માત્ર સવારના સમયે જ નહીં, પરંતુ મુસાફરો ગઈકાલે સાંજે 7 વાગ્યાથી જ લાઇન લગાવીને રોડ ઉપર બેઠા હતા. અંદાજ મુજબ, 15,000થી વધુ મુસાફરો ટિકિટ મેળવવા અને ટ્રેનમાં પ્રવેશવા માટે લાઈનમાં ઊભા હતા. આ લાંબી લાઇનને કારણે આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને સામાન્ય જનજીવન ખોરવાયું હતું.













