આજથી 12 રાજ્યોમાં સઘન મતદાર યાદી સુધારણા (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં પણ SIR ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમ એક મહિના સુધી ચાલશે. જેની કામગીરી તમામ જિલ્લામાં કરવામાં આવી રહી છે. સુરતમાં પણ મતદાર યાદીમાં સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આ અંગે માહિતી આપવા માટે સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી.


એક મહિનો ચાલશે કામગીરી

આ પત્રકાર પરિષદમાં સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, આજથી સુરતમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જે 4 ડિસેમ્બર સુધી ચાલશે. 9 ડિસેમ્બરના રોજ મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવશે. જ્યારે 9 ડિસેમ્બર 2025 થી 8 જાન્યુઆરી 2026 સુધી દાવા અને વાંધા અરજી સ્વીકારવામાં આવશે. 9 ડિસેમ્બર 2025 થી 31 જાન્યુઆરી 2026 સુધી નોટિસનો તબક્કો છે. જે બાદ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.

આવા લોકો સામે થશે કાર્યવાહી

અત્રે નોંધનીય બાબત છે કે, હાલ સુરત શહેર સહિત જિલ્લામાં કુલ 48,73,512 મતદાતાઓ છે. જેમાંથી ઘણા મતદાતાઓ પરપ્રાંતીય છે. જે કારણે ઘણા મતદારો એક કરતા વધારે રાજ્યોમાં મતદાન કાર્ડ ધરાવે છે. આવામાં મતદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વની તારીખો

  • મતદારયાદી સુધારણાની શરૂઆત - 4 નવેમ્બર
  • સુધારણા કામગીરીની અંતિમ તારીખ - 4 ડિસેમ્બર
  • મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર કરવાની તારીખ - 9 ડિસેમ્બર
  • વાંધા-દાવા રજૂ કરવાની તારીખ - 8 જાન્યુઆરી, 2026 સુધી
  • નોટિસનો તબક્કો - 31 જાન્યુઆરી, 2026 સુધી
  • અંતિમ યાદી પ્રસિદ્ધ થવાની તારીખ - 7 ફેબ્રુઆરી, 2026

કેવી રીતે થશે કામગીરી?

અત્રે નોંધનીય બાબત છે કે, ભારતીય ચૂંટણી પંચના મુખ્ય ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા 27 ઓક્ટોબરે સમગ્ર દેશમાં SIRની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રક્રિયા 4 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, કેરળ, ગોવા, તમિલનાડુ, બંગાળ સહિત કેન્દ્રશાસિત પ્રદેશો આંદામાન, નિકોબાર અને લક્ષદ્વીપ તેમજ પોડિંચેરીમાં SIRની કામગીરી હાથ ધરાશે. આ કામગીરી BLO દ્વારા ડોર ટૂ ડોર કરવામાં આવશે. જેમાં બનાવટી મતદારોના નામ દૂર કરવામાં આવશે. તેમજ નવા લોકોના નામો પણ ઉમેરવાની કામદગીરી કરવામાં આવશે.


  • Follow us on: