સુરતના ખમણ-લોચાનું વેચાણ કરતા વેપારીઓની દુકાનમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે આવી છે જેમાં શહેરની 14 દુકાનોમાંથી ખમણ, લોચા, ઇદડા, પાતુડીના સેમ્પલ લેવાયા છે અને સેમ્પલની ગુણવત્તા અંગે હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી કરાશે, જો સેમ્પલના રિપોર્ટમાં ગુણવત્તાને લઈ કોઈ બાંધછોડ થઈ હશે તો દંડ સહિતની આકરી કાર્યવાહી થશે. બિન આરોગ્યપ્રદ વાનગી આરોગવાની સાથે જ વ્યક્તિ બીમાર પડવાની શક્યતા વધી જાય છે.
સુરત શહેરના નામ સાથે ખમણ અને લોચો સારી રીતે જોડાયા છે
સ્વાદરસિયા સુરતીઓના મોર્નિંગ બ્રેકફાસ્ટમાં માનીતી વાનગી ગણાતા ખમણ અને લોચો દેશ-વિદેશમાં જાણીતા થયા છે. શહેરમાં અનેક સંસ્થા, દુકાનોમાં વેચાતા ખમણ, લોચાના ટેસ્ટના સુરતીઓ ભરપેટ વખાણ કરે છે ત્યારે સુરતીઓનો આ માનીતો લોચો, ખમણ આરોગ્યપ્રદ છે કે કેમ એની ચકાસણી માટે પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી 14 જેટલી દુકાનોમાંથી ખમણ, લોચા, ઈદડા, પાતુડીના 24 જેટલા સેમ્પલ લઇ ચકાસણી માટે હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
નાસ્તાના નમૂના લઈને મોકલી આપ્યા તપાસ અર્થે લેબોરેટરીમાં
હાલમાં ચોમાસાની સિઝનમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તામાં બાંધછોડ થઈ હોય અથવા તો ઉતરતી કક્ષાની ગુણવત્તા હોય તો આરોગ્ય સામે મોટું જોખમ તોળાઈ છે. બિનઆરોગ્યપ્રદ વાનગી આરોગવાની સાથે જ વ્યક્તિ બીમાર પડે છે, ત્યારે પાલિકાના આરોગ્ય વિભાગે શહેરીજનોના આરોગ્યને કેન્દ્રમાં રાખીને ખમણ, લોચા, ઇંદડા, પાતુડીનું વેચાણ કરતી દુકાનોમાંથી સેમ્પલ લઈને ચકાસણી પ્રક્રિયા આરંભી છે. ગુરુવારે આરોગ્ય અધિકારી અને ડેઝીગ્નેટેડ અધિકારીની સૂચનાને આધીન જુદા જુદા ઝોન વિસ્તારમાં ફરસાણનું વેચાણ કરતી દુકાનો ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરોના રડાર પર આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસરોએ 14 દુકાનોમાંથી ખમણ, ઇંદડા, લોચો, પાતુડીના ૨૪ સેમ્પલ લઇ પૃથક્કરણ માટે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.