સુરતમાં ચોમાસાના આરંભે મુશળધાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે પાણી અને ઋતુજન્ય રોગ વકર્યો. શહેરમાં એક મહિલાનું સામાન્ય ઝાડા-ઉલટીની ફરિયાદમાં મોત નિપજયું. 38 વર્ષીય મહિલા પુણાગામના ભૈયાનગર ખાતે રહેતી હતી. છેલ્લા કેટલાક દિવસોથી મહિલાને ઝાડા-ઊલટીની ફરિયાદ હતી. ઘરગથ્થુ દવા કર્યા બાદ ડોક્ટરની સારવાર લીધા બાદ પણ મહિલાનું મોત નિપજયું. શરીરમાંથી વધુ પડતા પ્રમાણમાં પ્રવાહી ઘટતા મહિલાનું મોત નિપજયું હોવાની ડોક્ટરને આશંકા છે.


વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર 

શહેરમાં જૂન મહિનાના અંતમાં ભારે વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા. ધોધમાર વરસાદના કારણે શહેરમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ભરાતા ઘરોમાં પાણી ઘૂસતા લોકોની ઘરવખરીને મોટું નુકસાન થયું. વરસાદ ધીમો થયા બાદ પણ કેટલાક વિસ્તારોમાંથી પાણી ના ઓસરતા તંત્રની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખૂલી. વરસાદી પાણી ભરાતા શહેરમાં ફલૂ, તાવ, અને શરદી-ઉધરસના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

વરસાદ બાદ શહેરમાં રોગચાળો વકર્યો

હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. વરસાદ બાદ શહેરમાં રોગચાળો વકર્યો. હાલમાં શહેરમાં એક ફેરિયાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે રસ્તાના પાણીથી શાકભાજી ધોતો હતો. આવી સ્થિતિમાં સવાલ થાય કે આ વીડિયો વાયરલ થયા બાદ પણ શું સ્વચ્છતા મામલે કોઈ પગલા લેવામાં આવ્યા છે. ખાડીપૂર સમસ્યાને લઈને વિરોધ પક્ષ આકરા પાણીએ છે અને નાગરિકો પણ વરસાદી પાણી ભરાવાના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વરસાદી પાણીનો કયારે નિકાલ થશે. અને તંત્ર દ્વારા કયારે રોગચાળાને લઈને શહેરમાં સફાઈ અભિયાન અને દવા છંટકાવની કામગીરી શરૂ કરાશે.

  • Follow us on: