મહિલાઓની સુરક્ષા, સન્માન અને સશક્તિકરણ માટે કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અનેક મહિલાઓ માટે એક આશાનું કિરણ બનીને ઉભરી છે. ઘરેલુ હિંસા, છેડતી, બાળલગ્ન કે અન્ય કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં ફસાયેલી મહિલાઓ માટે આ હેલ્પલાઇન સાચા અર્થમાં સંજીવની સમાન છે. તાજેતરમાં સુરેન્દ્રનગર ખાતે આવેલી ૧૮૧ અભયમ પર એક માતાનો હૃદયદ્રાવક ફોન આવ્યો. માતા ભારે હૃદયમાં વેદના સાથે કંપાતા આવજે બોલ્યા. તેમની દોઢ વર્ષની વ્હાલસોયી દીકરીને તેમના પતિ જબરદસ્તી લઈ ગયા છે. આ કરુણ પરિસ્થિતિમાં તેમને અભયમ ટીમની મદદની તાતી જરૂર હોવાનું જણાવ્યું.


નિર્દોષ દીકરીને માતાના ખોળામાંથી છીનવીને જબરદસ્તી લઈ ગયા હતા પતિ

આ કોલ મળતા જ ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર ચંદ્રિકા મકવાણા, મહિલા કોન્સ્ટેબલ સરલાબેન અને પાયલોટ સુરેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પીડિત બહેનનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે, તેઓ થોડા દિવસ પહેલા રાજીખુશીથી હાલોલ સ્થિત પોતાના પિયર ગયા હતા. પરંતુ ત્યાં તેમની ખુશી ક્ષણભંગુર સાબિત થઈ. તેમના પતિ અચાનક કેફી દ્રવ્યનું સેવન કરીને પિયરમાં આવ્યા અને "મારે તું નહીં જોઈ" તેમ કહીને તેમની કૂમળી, નિર્દોષ દીકરીને માતાના ખોળામાંથી છીનવીને જબરદસ્તી લઈ ગયા હતા.

આશાનું એક છેલ્લું કિરણ લઈને તેઓ સુરેન્દ્રનગર આવીને કોલ કર્યો હતો

આ ઘટના બાદ પીડિત બહેન છેલ્લા બે દિવસથી પતિ અને સાસુને ફોન કરીને આજીજી કરી રહ્યા હતા. દીકરી પરત આપવા માટે કાકલૂદી કરી રહ્યા હતા, પરંતુ સાસુ કે પતિએ ફોનમાં દીકરી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી અને બાદમાં તો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. નાનકડી દીકરી માતા વગર રહી શકતી ન હતી. માતૃત્વની વેદનાથી પીડિત માતાએ પોતાના ગામના સરપંચનો સંપર્ક કર્યો અને ૧૮૧ અભયમ વિશે માહિતી મેળવી. આશાનું એક છેલ્લું કિરણ લઈને તેઓ સુરેન્દ્રનગર આવીને કોલ કર્યો હતો. ઘટનાસ્થળે પીડિતાના પતિ હાજર હતા.

પીડિતાએ પણ પોતાની ભૂલ સ્વીકારી અને પતિ સાથે જ પ્રેમથી રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

અભયમ ટીમે તેમને સમજાવ્યું કે પીડિતા વેદના સહન કરીને તેમની દીકરી માટે આવી છે. તેમને શાંતિથી સાથે રહેવા અને ઝઘડા ટાળવા સમજાવવામાં આવ્યા હતા. પીડિતાના પતિએ જણાવ્યું કે, તેઓ પીડિતા સાથે શાંતિથી રહેવા માંગે છે, પરંતુ પીડિતા દર અઠવાડિયે પિયર જાય છે. તેઓને જરૂર પૂરતું જ પિયર જવું જોઈએ અને વારંવાર ત્યાં રોકાવું નહીં તેમ સમજાવવામાં આવ્યા હતા. પીડિતાએ પણ પોતાની ભૂલ સ્વીકારી અને પતિ સાથે જ પ્રેમથી રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

એક માતાને તેની જીવનની સૌથી મોટી ખુશી પાછી મળી

આમ, અભયમ ટીમે પતિ-પત્ની બંનેનું સંવેદનશીલતાપૂર્વક કાઉન્સેલિંગ કર્યું અને તેમના વચ્ચેના મનભેદ દૂર કરીને સુખદ સમાધાન કરાવ્યું. આ સમાધાનના પરિણામે, એક માતાને તેમની લાડકવાયી દીકરી પરત મળી અને પરિવારમાં ખુશી અને શાંતિ પુન: આવી. ૧૮૧ અભયમ હેલ્પલાઇનની સમયસરની અને સક્રિય દખલગીરીથી, એક પરિવાર વિખરાતો બચી ગયો અને એક માતાને તેની જીવનની સૌથી મોટી ખુશી પાછી મળી.

 

  • Follow us on: