આજરોજ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને અને દુધરેજ વડવાળા મંદિર મહંત મુકુંદરામજી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં દુધરેજ ખાતે નર્મદા કેનાલ પર આવેલા બ્રિજનું ખાતમુર્હૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજે રૂ.૧.૨૨ કરોડના ખર્ચે તૈયાર થનારો આ બ્રિજ માત્ર ૯૦ દિવસના ટૂંકા ગાળામાં જ પૂર્ણ કરીને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.


સુરેન્દ્રનગર શહેરમાં આવતા લોકોનો સમય બચશે અને મુસાફરી વધુ ઝડપી અને સરળ બનશે

આ અવસરે મીડિયા સાથે વાત કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું કે, આ બ્રિજના કાર્યથી ઉત્તર ગુજરાત અને કચ્છ જતા નાગરિકોની યાતાયાત સુવિધા વધુ સરળ અને સુગમ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, માત્ર ૩૦ દિવસના ટૂંકા સમયગાળામાં તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને આ બ્રિજના નિર્માણ કાર્યને મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરીથી આસપાસના ગામડાંઓમાંથી સુરેન્દ્રનગર શહેરમાં આવતા લોકોનો સમય બચશે અને મુસાફરી વધુ ઝડપી અને સરળ બનશે.

રાજ્યના રોડ કનેક્ટિવિટીના સુદૃઢ માળખાને પ્રતિબિંબિત કરે છે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશન હેઠળ રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સલામત, સુરક્ષિત અને સુવિધાજનક રોડ નેટવર્ક પૂરું પાડવામાં આવી રહ્યું છે. ગામડાઓમાં આયોજનબદ્ધ વિકાસના કામો ઝડપભેર આગળ વધી રહ્યા છે, જેના પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં શહેરોની સમકક્ષ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. રાજ્યના અંતરિયાળ ગામડાઓથી લઈને મોટા શહેરો સુધી ઉત્તમ ગુણવત્તાના રસ્તાઓ અને બ્રિજો દ્વારા જોડવામાં આવ્યા છે, જે રાજ્યના રોડ કનેક્ટિવિટીના સુદૃઢ માળખાને પ્રતિબિંબિત કરે છે.

આ બ્રિજનું કાર્ય માત્ર ૯૦ દિવસના ટૂંકા ગાળામાં પૂર્ણ થશે

અત્રે ઉલ્લેખનીય છે કે, આ બ્રિજનું કાર્ય માત્ર ૯૦ દિવસના ટૂંકા ગાળામાં પૂર્ણ થશે. આ કામગીરીથી નાગરિકોને વધુ સુગમ અને સુવિધાજનક યાતાયાત સુવિધાનો લાભ મળશે, જેનાથી સમગ્ર વિસ્તારની સુખાકારીમાં વધારો થશે. આ કાર્યક્રમમાં અગ્રણી સર્વે હાર્દિકભાઈ ટમાલીયા, દેવાંગભાઈ રાવલ, મામલતદાર મયુરભાઈ દવે સહિત અધિકારીઓ/ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Follow us on: