વડોદરા જિલ્લાની અણખોલ ગ્રામ પંચાયત ફરી એકવાર ભ્રષ્ટાચારના આરોપોને કારણે વિવાદમાં સપડાઈ છે. ગ્રામજનો અને પંચાયતના સભ્યોએ વર્તમાન તલાટી જગદીશ સાધુ પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા. આ મામલે તેઓ જિલ્લા પંચાયત કચેરીએ પહોંચીને અત્યાર સુધીના 4 કરોડ રૂપિયાના કામોની તપાસ કરાવવાની માગણી કરી હતી. ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ હતો કે પંચાયતના સભ્યોની જાણ બહાર અને તેમની સહી વિના જ વિકાસના કામોના ઠરાવો અને વર્ક ઓર્ડર પાસ કરી દેવામાં આવે છે.


તલાટી અને TDO વચ્ચે મીલીભગતના આરોપ

સભ્યોને માત્ર હાજરી પત્રક પર સહી કરાવવામાં આવે છે. પરંતુ કામના ઠરાવોની કોઈ જાણકારી આપવામાં આવતી નથી. આ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા ખાનગી જગ્યાઓમાં વિકાસના કામો કરવામાં આવી રહ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો જે નિયમ વિરુદ્ધ છે. આક્ષેપ કરનારાઓએ તલાટી જગદીશ સાધુ અને તાલુકા વિકાસ અધિકારી વચ્ચે મિલીભગત હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ મિલીભગતને કારણે જ ગેરકાયદેસર કામોને મંજૂરી મળી રહી છે.

15 દિવસમાં નિરાકરણ ન આવે તો HCમાં જવાની ચીમકી

ઉલ્લેખનીય છે કે આ પંચાયતમાં અગાઉ પણ ભ્રષ્ટાચારના આરોપો લાગી ચૂક્યા છે. પૂર્વ સરપંચ તરલિકા પટેલ અને તલાટી દિગ્વિજય ઝાલા સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ ઘટના બાદ પણ ભ્રષ્ટાચાર ચાલુ રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા કચેરીમાં હાજર ન હોવાથી ગ્રામજનોએ તેમના પીએને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી 15 દિવસમાં આ મામલે કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ હાઈકોર્ટમાં જઈને કાયદેસરની કાર્યવાહી કરશે.


  • Follow us on: