ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે શહેરના લગભગ ૧૫ જેટલા ગણેશ મંડળોમાં જઈને ગણેશજીના દર્શન કર્યા હતા. તેમણે નિવેદન આપ્યું કે, તેમને વડોદરામાં ગણેશજીના દર્શનનો અવસર મળ્યો તે ખૂબ આનંદની વાત છે. સંઘવીએ જણાવ્યું કે, અનેક પંડાલોમાં 'ઑપરેશન સિંદૂર' અને 'સ્વદેશી અપનાવો' જેવી સામાજિક થીમ જોવા મળી, જેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે ઉમેર્યું કે, આવા તહેવારો અનેક લોકોને રોજગારી પણ પૂરી પાડે છે.
ગણેશજી પર ઈંડાકાંડ, સંઘવીનું આક્રમક નિવેદન
તાજેતરમાં ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના કથિત કૃત્ય અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આક્રમક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ગણેશ ચતુર્થી માત્ર સામાન્ય લોકો માટે જ નહીં, પરંતુ પોલીસ વિભાગ માટે પણ એક મોટો ઉત્સવ છે. આવા સંવેદનશીલ સમયે શાંતિ અને સુરક્ષા જાળવવી એ પોલીસની પ્રાથમિકતા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પોલીસે 'ગણી ગણીને' પકડ્યા છે. તેમણે જણાવ્યું કે, પોલીસની કડક કાર્યવાહીના કારણે આરોપીઓ ચાલી ન શકે તેવી પરિસ્થિતિમાં છે અને તેમણે સમગ્ર પોલીસ વિભાગને આ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.













