વેરાવળમાં પવિત્ર નાળીયેરી પૂનમના દિવસે ભીડીયા સમસ્ત ખારવા સમાજ દ્વારા પરંપરાગત રીતે દરિયા દેવનું પૂજન અર્ચન કરવામાં આવ્યું છે. માછીમારો ઢોલ-શરણાઈ સાથે વાજતે-ગાજતે સમુદ્ર કિનારે પહોંચ્યા હતા. ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે દરિયા દેવની પૂજા વિધિ સંપન્ન કરાવવામાં આવી હતી. આગેવાનોના હસ્તે દરિયા દેવને શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. માછીમારોના પરિવારજનોએ કળશ યાત્રા કાઢી, વિધિવિધાન સાથે નારિયેળ પધરાવી દરિયાદેવનું પૂજન કર્યું હતું.


વેરાવળમાં શ્રાવણી પૂનમે દરિયા દેવની પૂજા 

ભીડીયા સમસ્ત ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ડાલકીએ જણાવ્યું કે, માછીમારો દ્વારા પૂજા અર્ચન સાથે દરિયા દેવને પ્રાર્થના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સમગ્ર વર્ષ દરમિયાન દરિયા દેવ શાંત રહે. મબલખ માછલી આપવા સાથે માછીમારી કરવા જતા માછીમારોની રક્ષા કરે એવા ભાવ સાથે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે વેરાવળ ભીડીયા સમસ્ત ખારવા સમાજના પટેલ રતિલાલ ગોહેલ, હોડી એસોસિએશનના પ્રમુખ ચુનીભાઈ ડાલકી સહિત સમાજના પંચ સભ્યો અને ચોવટિયાઓ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

15 ઓગષ્ટથી માછીમારો માછીમારી માટે દરિયો ખેડશે

આજથી વિધિવત માછીમારોએ બોટની પૂજા કરી, કરિયાણું, બરફ વગેરે જરૂરી સામાન ભરાવીને દરિયામાં જવાની તૈયારી કરી હતી. શ્રાવણી પૂનમને બળેવ પણ કહેવાય છે. આ દિવસથી દરિયાનું જોર એટલે કે બળ ઘટતું હોય છે. સરકારના નિયમ અનુસાર 15 ઓગષ્ટથી માછીમારો માછીમારી માટે દરિયો ખેડશે. માછીમારોની આશા છે કે નવ મહિના દરિયો તેમને સાચવે અને સારા પ્રમાણમાં ધંધો-રોજગારી આપે છે.


  • Follow us on: