વેરાવળના નગરસેવિકાની અનોખી સરસ્વતી સાધના સામે આવી છે જેમા માછીમાર મહિલાઓને અક્ષરજ્ઞાન આપવા ચલાવે છે શિક્ષણ વર્ગ, 40થી વધુ મહિલા અંગુઠો મારવાને બદલે કરે છે પોતાની સહી શિખવાડવામાં આવે છે, ભીડીયા પે. સેન્ટર શાળાના તત્કાલીન આચાર્ય અને વેરાવળ TPEOના હરદાસ નંદાણીયાના વિચારથી આ પહેલ શરૂ થઈ છે.
મહિલાઓને સાક્ષર બનાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે
"જન સમુહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે ; એને દૂર કરવી જ જોઇએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આ ચિંતનને ચરિતાર્થ કરવા તથા નિરક્ષરોને સાક્ષર કરવા સમુદ્રકાંઠા ના નાના એવા ભીડીયા વેરાવળ માં અનોખી સરસ્વતી યાત્રા જોવા મળી રહી છે. વેરાવળના ભીડીયા વિસ્તારમાં માછીમાર સમુદાયની મહિલાઓ માટે અનોખી સરસ્વતીયાત્રા શરૂ થઈ છે. નગરસેવિકા ચંદ્રિકાબેન સિકોતરીયા અભણ મહિલાઓને સાક્ષર બનાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ભીડીયા પે. સેન્ટર શાળાના તત્કાલીન આચાર્ય અને વેરાવળ TPEOના હરદાસ નંદાણીયાના વિચારથી આ પહેલ શરૂ થઈ.
નગરસેવિકા ચંદ્રિકાબેન સિકોતરીયાએ મહત્વની ભૂમિકા ભજવી
નંદાણીયાએ જણાવ્યું કે, શાળા માછીમાર સમુદાયના વિસ્તારમાં આવેલી છે. મોટાભાગના વિદ્યાર્થીઓના માતા-પિતા અભણ અથવા ઓછું ભણેલા છે. ચોમાસામાં માછીમારી બંધ રહેતી હોવાથી મહિલાઓને અક્ષરજ્ઞાન આપવાનો વિચાર આવ્યો. પરંતુ આ માટે સમુદાય માંથી જ જો કોઈ શિક્ષિત વ્યક્તિ આગળ આવે એ અનિવાર્ય હતું અને આ માટે ચંદ્રિકાબેન આગળ આવ્યા, આ અભિયાનમાં વિસ્તારના નગરસેવિકા ચંદ્રિકાબેન સિકોતરીયાએ મહત્વની ભૂમિકા ભજવી છે.
મહિલાઓને અભણ હોવાના અભિશાપ માથી મુક્તિ અપાવવી એ મારી નેમ
તેઓ પોતે શિક્ષિત છે અને સમુદાયના ઉત્કર્ષ માટે કાર્યરત રહે છે. તેમણે મહિલાઓના અભ્યાસ વર્ગ ચલાવવાની જવાબદારી સ્વીકારી. નગરસેવિકા ચંદ્રિકાબેન સિકોતરીયા દરરોજ બપોરે 3થી 5 દરમિયાન શિક્ષણ વર્ગ ચલાવે છે. ગત વર્ષે શરૂ થયેલા આ વર્ગોમાં 40થી વધુ મહિલાઓ જોડાઈ હતી. આ વર્ષે પણ એટલી જ મહિલાઓ અભ્યાસ કરી રહી છે. ચંદ્રિકાબેન સિકોતરીયાએ જણાવ્યું હતું કે, અભણ હોવું એ અભિશાપ સમાન છે અને મારે મારા સમુદાયની મહિલાઓને અભણ હોવાના અભિશાપ માથી મુક્તિ અપાવવી એ મારી નેમ છે.
બહેનો જે અંગુઠો મારતી તે સહી કરવાની સાથે લખતા વાંચતા શીખી ગઈ છે
આજે સમાજમાં શિક્ષણએ સમાજની ઉન્નતિનો પાયો ગણવામાં આવે છે. જો માતા શિક્ષિત હશે તો એ એના બાળકોને પણ જરૂર શિક્ષિત બનાવશે. મને ખુશી છે કે હું આ કાર્ય માટે નિમિત્ત બની છું આજે અનેક બહેનો જે અંગુઠો મારતી તે સહી કરવાની સાથે લખતા વાંચતા શીખી ગઈ છે. વર્ગમાં અક્ષરજ્ઞાન મેળવનાર હર્ષિદાબેન લોઢારી અને હંસાબેન ડાલકીએ જણાવ્યું કે પહેલા બેંકમાં સહીની જગ્યાએ અંગુઠો મારવો પડતો હતો. હવે તેઓ જાતે બેંકમાં જઈને સહી કરે છે. તેઓએ ચંદ્રિકાબેનનો આભાર માન્યો છે.
શિક્ષણના બદલે પરંપરાગત માછીમાર વ્યવસાયમાં નાનપણ થી જોતરી દેવામાં આવતા
રાજ્ય અને જિલ્લાની સાપેક્ષમાં સમુદ્રકાંઠા પર વસવાટ કરતાં સાગરખેડુ એવા માછીમાર સમુદાયમાં સાક્ષરતાનું સ્તર ખુબ જ નીચું જોવા મળે છે. પરંપરાગત માછીમાર વ્યવસાય સાથે સમુદાયમાં ભૂતકાળમાં જાગૃતિ અને શિક્ષણના અભાવના કારણે બાળકોને શિક્ષણના બદલે પરંપરાગત માછીમાર વ્યવસાયમાં નાનપણ થી જોતરી દેવામાં આવતા હતા. જો કે આજે સ્થિતિમાં નોંધાયેલ સુધારો જોવા મળી રહ્યો છે.













