વિસનગર તાલુકાના થલોટા ગામે શ્રી મહાકાળી માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર તથા શિખરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 4, 5 અને 6 ફેબ્રુઆરી 2025ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. થલોટા ગામ સમસ્ત પાટીદાર- પ્રજાપતિ પરિવાર તથા શ્રી થલોટા કડવા પાટીદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ત્રિ-દિવસીય મહોત્સવમાં ધાર્મિક આસ્થાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ વિશેષ ઝાંખી જોવા મળશે.


મોટી સંખ્યામાં ભક્તો રહેશે હાજર

સમગ્ર ઉત્તર ગુજરાતમાં થલોટા ગામ કુંવારી તથા પરણિત દીકરીઓ-બહેનો-ફોઈઓને દાન આપવાની પરંપરા માટે સુપ્રસિદ્ધ છે. આ પરંપરાને આગળ વધારતા આ મહોત્સવમાં ગામની પરણિત ફોઈઓ, દીકરીઓ અને બહેનોને વિશેષ રૂપે તેડાવવામાં આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન વિસનગર તાલુકાના ગામો તેમજ શહેરમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે થલોટા આવશે.

રાસ-ગરબા અને લોક ડાયરાનું આયોજન

આ મહોત્સવમાં શોભાયાત્રા, દીકરીઓના વધામણાં, સામાજિક નાટક ‘મા-બાપને ભૂલશો નહિ’, રાસ-ગરબા, ભવ્ય લોક ડાયરો તથા મોટીવેશનલ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રામાં રિયા પટેલ, રાસ-ગરબામાં પ્રસિદ્ધ ગાયક સાગર પટેલ, લોક ડાયરામાં અનુપસિંહ વાઘેલા, જીજ્ઞેશ કવિરાજ અને વિક્રમ માલધારી ઉપસ્થિત રહેશે, જ્યારે પરિવારોત્સવ કાર્યક્રમને મોટીવેશનલ સ્પીકર ડૉ. અંકિતા મુલાણી સંબોધશે.

દાતાઓનું પણ સન્માન કરવામાં આવશે

આ મહોત્સવમાં વિસનગરના ધારાસભ્ય તથા રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ વિકાસ, ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ, ઉધના-સુરતના ધારાસભ્ય મનુ પટેલ, એસ.કે. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ, ભામાશા રાજુભાઈ પટેલ (આર.કે. જ્વેલર્સ) તથા વિસનગર નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. ત્રણ દિવસ દરમિયાન દાતાઓનું પણ સન્માન કરવામાં આવશે. નવનિર્મિત મંદિર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં જ શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Gondal : પોલીસ ભરતી દરમિયાન કરુણ ઘટના, શારીરિક કસોટીમાં 25 મિનિટની મર્યાદા સામે 23 મિનિટમાં દોડ પૂર્ણ કરનારા યુવકનું હાર્ટ એટેકથી મોત


  • Follow us on: